ન્યાયની મશાલ લઈને જે
સદા ચાલ્યા હતા,
એ જ આંબેડકર જગતમાં
ક્રાંતિ લાવ્યા હતા.
બંધારણના પાને જેણે
સૌને સન્માન આપ્યું,
ભારતના ભાગ્યને સાચું
એણે જ કંડાર્યું.
–“પાંધી સર”
આજરોજ ૧૪ એપ્રિલના રોજ ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતિ નિમિત્તે સાવરકુંડલા શહેરમાં ભારે ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ દલિત સમાજ અને અન્ય સંગઠનો દ્વારા વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જન્મ જયંતિના પવિત્ર અવસરે શહેરના મુખ્ય માર્ગો પર એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘બાબા સાહેબ અમર રહો’ અને ‘જય ભીમ’ના નારાઓથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. રેલીમાં જોડાયેલા લોકો માટે ઠંડા શરબત અને પાણીની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
નાવલી સ્થિત રિદ્ધિ-સિદ્ધિ ચોક ખાતે આવેલી ડૉ. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી ભાવવંદના કરવામાં આવી હતી. આ દિવસની વિશેષતા એ રહી કે હાથસણી રોડ ખાતે ડૉ. બાબાસાહેબની નવી પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અગ્રણીઓએ બાબા સાહેબના અદ્વિતીય યોગદાનને યાદ કરી, તેમના બતાવેલા આદર્શો અને સમાનતાના માર્ગ પર ચાલવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

















Recent Comments