ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ તથા કલેક્ટરશ્રી, અમરેલીની સૂચના અનુસાર ખાંભા મામલતદાર કચેરી દ્વારા તાલુકાના ૧૩ સેજા હેઠળ આવતા ૫૬ ગામોમાં ફરજ બજાવતા મહેસૂલી તલાટીઓ માટે હાજરીનું નવું સમયપત્રક (ડ્યુટી ચાર્ટ) જાહેર કરવામાં આવ્યું છે.
ગામડાના નાગરિકોને મહેસૂલી કામગીરી માટે સરળતા રહે તેમજ અરજદારોના પ્રશ્નોનો સમયસર અને ઝડપી નિકાલ થાય તે હેતુથી મહેસૂલી તલાટીઓની સાપ્તાહિક કામગીરી અને હાજરીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમયપત્રક મુજબ, મહેસૂલી તલાટીઓ દર સોમવાર અને બુધવારે પોતાના નિયમિત સેજા હેઠળના ગામોમાં, જ્યારે મંગળવાર અને શુક્રવારે ચાર્જ હેઠળના સેજાના ગામોમાં ફરજ પર હાજર રહેશે.
દર ગુરુવારે તમામ મહેસૂલી તલાટીઓ વહીવટી સમીક્ષા તથા કામગીરી અર્થે મામલતદાર કચેરી, ખાંભા ખાતે ઉપસ્થિત રહેશે. જ્યારે દર શનિવારે ગામોની સ્થળ મુલાકાત તથા ક્ષેત્રીય કામગીરી માટેનો દિવસ નિયત કરવામાં આવ્યો છે.
મામલતદારશ્રી એમ.ડી. ભાલોડીના જણાવ્યા મુજબ, નક્કી કરાયેલા આ સમયપત્રકના અમલથી મહેસૂલી સેવાઓમાં પારદર્શિતા અને સુગમતા વધશે તેમજ નાગરિકોના મહેસૂલી પ્રશ્નોના ઝડપી નિકાલમાં મદદ મળશે. ખાંભા તાલુકાના નાગરિકોને મહેસૂલી કામગીરી માટે સંબંધિત દિવસોએ પોતાના સેજાના ગામે ફરજ બજાવતા મહેસૂલી તલાટીની હાજરીનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
















Recent Comments