અમરેલી

364 દિવસમાં પાક ધિરાણ ભરપાઈ કરો અને મેળવો 0 ટકા વ્યાજનો લાભ, કપાસ માટે પ્રતિ હેકટર ₹1.42 લાખ સુધી ધિરાણ

અમરેલી મધ્ય સહકારી બેંક દ્વારા ખેડૂતોને ચોમાસુ પાક માટે આકર્ષક પાક ધિરાણ યોજના હેઠળ સહાય આપવામાં આવી રહી છે. ખેડૂતોને ખેતી ખર્ચમાં રાહત મળે અને સમયસર નાણાંકીય મદદ મળી રહે તે હેતુથી બેંક દ્વારા વિવિધ પાક માટે ધિરાણ આપવામાં આવે છે.

અમરેલી મધ્ય સહકારી બેંકના CEO ભાઈલાલભાઈ કોઠીયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને ચોમાસા સીઝનમાં મગફળી અને કપાસ જેવા મુખ્ય પાક માટે ટેક્નિકલ ગ્રૂપ મીટિંગમાં નક્કી કરાયેલા દર મુજબ ધિરાણ આપવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે જો ખેડૂત મગફળીનું વાવેતર કરે તો પ્રતિ હેકટર રૂ. 1,37,500 સુધીનું પાક ધિરાણ આપવામાં આવે છે. જ્યારે કપાસના પાક માટે પ્રતિ હેકટર રૂ. 1,42,500 સુધીનું ધિરાણ આપવામાં આવે છે. આ ધિરાણ ખેડૂતને ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર, દવાઓ તેમજ અન્ય ખેતી ખર્ચ માટે ઉપયોગી બને છે.

બેંક દ્વારા આપવામાં આવતું પાક ધિરાણ સામાન્ય રીતે 7 ટકા વ્યાજદરે આપવામાં આવે છે. પરંતુ ખેડૂતો માટે ખાસ રાહતરૂપ યોજના હેઠળ જો ખેડૂત ધિરાણ લીધાની તારીખથી 364 દિવસની અંદર સંપૂર્ણ ભરપાઈ કરી દે તો તેમને વ્યાજમાં મોટી રાહત મળે છે.

આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા 3 ટકા અને રાજ્ય સરકાર દ્વારા 4 ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. એટલે ખેડૂત સમયસર લોનની ભરપાઈ કરે તો કુલ 7 ટકા વ્યાજ માફ થઈ જાય છે અને ખેડૂતોને પાક ધિરાણ 0 ટકા વ્યાજે પ્રાપ્ત થાય છે.

ખેડૂતો માટે આ યોજના ખૂબ જ લાભદાયી માનવામાં આવી રહી છે, કારણ કે ખેતી ખર્ચ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે વ્યાજમુક્ત ધિરાણ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદરૂપ બની રહ્યું છે. બેંક દ્વારા ખેડૂતોને સમયસર લોનની ભરપાઈ કરવા પણ અપીલ કરવામાં આવી છે જેથી તેઓ સરકારની વ્યાજ સહાય યોજનાનો સંપૂર્ણ લાભ મેળવી શકે.

Related Posts