કે. કે. મહેતા સરકારી હોસ્પિટલ, સાવરકુંડલા (જી. અમરેલી) ખાતે તા. ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ તબીબી સ્ટાફના અથાક પ્રયાસો અને શ્રેષ્ઠ આયોજનના પરિણામે માત્ર ૨૪ કલાકના સમયગાળામાં કુલ ૧૬ સફળ પ્રસુતિઓ કરાવવામાં આવી છે. હોસ્પિટલની ટીમ દ્વારા એક જ દિવસમાં ૧૬ નવી જિંદગીઓને આ દુનિયામાં સુરક્ષિત રીતે લાવવાની આ સિદ્ધિથી સમગ્ર વિસ્તારમાં હોસ્પિટલની કામગીરીની સરાહના થઈ રહી છે.
૧૬ માતા અને તમામ નવજાત બાળકો સંપૂર્ણ સ્વસ્થ
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨૪ કલાક દરમિયાન કરવામાં આવેલી ૧૬ પ્રસુતિઓમાંથી ૧૨ સામાન્ય (નોર્મલ) પ્રસુતિ અને ૪ સિઝેરિયન (LSCS) ઓપરેશન દ્વારા કરવામાં આવી હતી. તબીબો અને નર્સિંગ સ્ટાફની તત્પરતાને લીધે તમામ પ્રસુતિઓ કોઈ પણ જાતની જટિલતા વગર સફળ રહી હતી. હાલમાં તમામ ૧૬ માતાઓ અને તેમના બાળકોની તબિયત સંપૂર્ણપણે સ્વસ્થ અને સ્થિર છે.
આ ઉત્કૃષ્ટ સિદ્ધિ હોસ્પિટલના અધિક્ષક ડો. વિવેક તરસરીયા, આર. એમ. ઓ. ડો. માલવિકા ચૌધરી તેમજ મેટરનિટી વિભાગના હેડ નર્સ મીનાક્ષીબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ શક્ય બની છે. પ્રસુતિ દરમિયાન સ્ત્રીરોગ નિષ્ણાત ડો. રિયા રુઘાણી, ડો. અભિષેક ચૌહાણ અને ડો. દર્શિતા સોલંકી તેમજ એનેસ્થેટિસ્ટ ડો. કુલદીપ કાવઠીયા અને ડો. હસમુખ કાપડિયાએ નર્સિંગ સ્ટાફ, લેબ ટેકનિશિયન અને સપોર્ટ સ્ટાફ સાથે મળીને નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી હતી.
સરકારી યોજનાઓનો લાભ
આ તમામ પ્રસુતિઓ દરમિયાન સરકારશ્રીની “જનની સુરક્ષા યોજના” અને “પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના” અંતર્ગત માતાઓને જરૂરી સારવાર, મફત દવાઓ અને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું. આધુનિક તબીબી સાધનો અને અનુભવી સ્ટાફની હાજરીથી દર્દીઓને ખાનગી હોસ્પિટલ સમકક્ષ સુવિધાઓ મફતમાં મળી રહી છે.
હોસ્પિટલ પ્રશાસને સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોનો વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કર્યો છે અને ભવિષ્યમાં પણ આવી જ રીતે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ આપવા માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી છે.
















Recent Comments