રાષ્ટ્રીય

મુંબઈ-અમદાવાદ હાઈવે પર અકસ્માત, ૪ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા

મુંબઈ-અમદાવાદ હાઈવે પર ભીષણ અકસ્માત સર્જાયો છે. આ હાઈવે પર પાલઘર જિલ્લાના દહાણુ વિસ્તારમાં એક કાર અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માતમાં ૪ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. પાલઘર પોલીસ તરફથી આ જાણકારી આપવામાં આવી. પોલીસે જણાવ્યું કે કાર ગુજરાતથી મુંબઈ જઈ રહી હતી. આ દરમિયાન કાર ચાલકે કાબૂ ગુમાવ્યો અને ત્યારબાદ બસ સાથે ટકરાઈ. મુંબઈ અમદાવાદ હાઈવે પર એક કાર અને લક્ઝરી બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત નિપજ્યા છે. ઘટના મહાલક્ષ્મી મંદિર પાસે મળસ્કે ૩ થી ૩.૩૦ વાગ્યા વચ્ચે થઈ. જે દહાણુ વિસ્તારમાં ચારોટીથી લગભગ પાંચ કિલોમીટર દૂર છે.

મંગળવારે સવારે ગુજરાતથી મુંબઈ જઈ રહેલી એક કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને લક્ઝરી બસને ટક્કર મારી દીધી. ઘટનાસ્થળે જ કાર સવાર ચાર લોકોના મોત થયા. લક્ઝરી બસ ડ્રાઈવર અને અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. આ બધા વચ્ચે સ્થાનિક લોકો દ્વારા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી અને પોલીસ ત્યારબાદ તરત ઘટનાસ્થળે પહોંચી. ઘાયલોને કાસાના ઉપજિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. અત્રે જણાવવાનું કે આ વિસ્તારમાં ૮ જાન્યુઆરીએ પણ આવો જ એક અકસ્માત થયો હતો જેમાં ૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

Related Posts