ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનાં 12 વર્ષ

26 મે, 2014ના રોજ શ્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને દેશની પ્રજાનો અભૂતપૂર્વ ટેકો મળ્યો અને 2024માં તેઓએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો. 26 મે, 2026ના રોજ વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થયાં છે.

ગત 12 વર્ષોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દિશાદર્શન હેઠળ ભારતે વિકાસ, સુશાસન, ગરીબ કલ્યાણ અને વૈશ્વિક પ્રતિષ્ઠાના નવા અધ્યાય લખ્યા છે. વડાપ્રધાનશ્રીના દૃઢ નેતૃત્વ અને દૂરંદેશી વિચારસરણીથી ભારતે એક નવી દિશા મેળવી છે. તેમણે “સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ, સબ કા પ્રયાસ” ના મંત્રને પ્રાથમિકતા આપી છે, અને “વિકસિત ભારત @2047”ના સંકલ્પ સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં સતત આગેકૂચ કરી રહ્યા છે. વડાપ્રધાન તરીકેના તેઓના 12 વર્ષોના આ કાર્યકાળ દરમિયાન દેશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, ઊર્જા, ઉત્પાદન, રમતગમત અને સામાજિક સુધારણા જેવા અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય દેશની આ વિકાસયાત્રામાં અગ્રેસર રહીને “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત આજે માત્ર ઔદ્યોગિક રાજ્ય તરીકે જ નહીં, પરંતુ નવીનતા, હરિત ઊર્જા, સેમિકન્ડક્ટર ઉત્પાદન, વૈશ્વિક રોકાણો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કેન્દ્ર બનીને ઉભર્યું છે. ગત 12 વર્ષોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કેન્દ્રીય નેતૃત્વ હેઠળ ગુજરાતે વિકાસ, નવીનતા અને પ્રગતિનું એક અનોખું મોડેલ ઉભું કર્યું છે, જે આજે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યું છે.

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતે મેળવેલી મોટી ભેટ

વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યાના માત્ર 17 દિવસમાં શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપીને ગુજરાતના કરોડો લોકોનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર કર્યું છે. આજે સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ જળસપાટીએ પહોંચીને છલકાય છે. ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન હેઠળ ગુજરાતના 6 શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર તથા દાહોદનો અભૂતપૂર્વ વિકાસ થયો છે.

ગુજરાતના અમદાવાદ શહેર અને મહારાષ્ટ્રના મુંબઈ શહેરને ઝડપી ગતિથી કનેક્ટ કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ભેટ આપી છે. આ ઉપરાંત, જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, રાજકોટમાં હીરાસર ખાતે પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, અદ્યતન સુવિધાઓ ધરાવતી રાજકોટ AIIMS હોસ્પિટલ, નવસારી ખાતે પીએમ મિત્ર પાર્ક, ભરૂચ ખાતે બલ્ક ડ્રગ પાર્ક, કચ્છના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દાહોદ ખાતે ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન ઉત્પાદન એકમ, વડોદરા ખાતે ટાટા ફેસિલિટી સી-295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરવા માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ, ભાવનગર ખાતે વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટ, દ્વારકા અને બેટ દ્વારકાને જોડતો અત્યાધુનિક સિગ્નેચર બ્રિજ સુદર્શન સેતુ, સાણંદ ખાતે માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટી તેમજ ‘કેઇન્સ સેમિકોન’ OSAT પ્લાન્ટનો શુભારંભ વગેરે જેવા પ્રોજેક્ટ્સની ગુજરાતને ભેટ મળી છે. ગુજરાત આજે ભારતના સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે.

તેમના સુદૃઢ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં રેલવે કનેક્ટિવિટી પણ મજબૂત બની છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપરાંત, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી પ્રવાસીઓ સરળતાથી પહોંચી શકે તે માટે કેવડિયા સુધીની રેલવે કનેક્ટિવિટી પ્રદાન કરી છે. આજે ભારતીય રેલવેની 8 ટ્રેનો કેવડિયા સુધીના રૂટ પર દોડી રહી છે. સપ્ટેમ્બર, 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. અત્યારે ગુજરાતમાં પાંચ વંદે ભારત સેમી હાઇસ્પીડ ટ્રેન દોડી રહી છે. તે સિવાય ભુજ અને અમદાવાદ વચ્ચે નમો ભારત રેપિડ રેલની ભેટ પણ મળી છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં અમદાવાદ મેટ્રો અને સુરત મેટ્રો પ્રોજેક્ટની ભેટ આપી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં સફળતાપૂર્વક મેટ્રો રેલ દોડી રહી છે, જે નાગરિકોને સરળ પરિવહન સુવિધા પૂરી પાડી રહી છે.

ગુજરાત આજે માત્ર દેશના ઔદ્યોગિક રાજ્ય તરીકે જ નહીં, પરંતુ નવીનતા, હરિત ઊર્જા, સેમિકન્ડક્ટર ઉત્પાદન, વૈશ્વિક રોકાણો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કેન્દ્ર બનીને ઉભર્યું છે. ગુજરાત ગ્રીન એનર્જી, મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ, ફાઇનાન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. ગત 12 વર્ષોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કેન્દ્રીય નેતૃત્વ હેઠળ ગુજરાતે વિકાસ, નવીનતા અને પ્રગતિનું એક અનોખું મોડેલ ઉભું કર્યું છે.

ગુજરાતમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’નો મંત્ર થઇ રહ્યો છે ચરિતાર્થ

સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ હુમલાના 1000 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગે નરેન્દ્રભાઈએ જાન્યુઆરી 2026માં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી હતી. સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા માત્ર મંદિરના ઇતિહાસનું સ્મરણ જ કરવામાં આવ્યું નથી, પરંતુ રાષ્ટ્રના સ્વાભિમાન, સંઘર્ષ અને પુનરુત્થાનની ભાવનાને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો છે.

વડનગરમાં નિર્મિત ભારતનું પ્રથમ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમ ભારતની પ્રાચીન નગર સંસ્કૃતિ, જ્ઞાન પરંપરા અને ઐતિહાસિક વૈભવને આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી વિશ્વ સમક્ષ રજૂ કરી રહ્યું છે. જ્યારે લોથલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ભારતના સમૃદ્ધ સામુદ્રિક વારસાને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનાર એક ઐતિહાસિક પ્રોજેક્ટ છે. આમ, એક તરફ ગુજરાતમાં સેમિકન્ડક્ટર, બુલેટ ટ્રેન, ગિફ્ટ સિટી, ધોલેરા-SIR જેવા પ્રોજેક્ટ્સ આકાર લઇ રહ્યા છે, તો સાથે જ રાજ્યના વારસા અને ઇતિહાસને પણ ગુજરાત ગૌરવપૂર્વક વિશ્વ સમક્ષ રજૂ કરી રહ્યું છે.

વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના આ 12 વર્ષ સેવા, સુશાન અને ગરીબ કલ્યાણના રહ્યાં છે. આ સમયગાળો માત્ર તેઓના કાર્યકાળ તરીકે જ નહીં, પરંતુ ભારતના આત્મવિશ્વાસ, સુશાસન, વિકાસ અને વૈશ્વિક પ્રતિષ્ઠાના નવા અધ્યાય તરીકે ઓળખાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ભારતને ફરી ‘વિશ્વ ગુરૂ’ બનાવવાના લક્ષ્ય સાથે અવિરત પ્રયાસો કરી રહ્યા છે. તેમના નેતૃત્વમાં ‘વિકસિત ભારત@2047’ના રોડમૅપ સાથે 2047માં સ્વતંત્રતાની શતાબ્દી સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ ભારત જરૂર પૂર્ણ કરશે.

Related Posts