આઝાદીના ૭૫ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી સવજીભાઇ ધોળકીયાના ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા ‘૧૦૦ સરોવર પ્રોજેકટ’ અને ‘પ્રકૃતિ ખેતી’ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ખાતે કરવામાં આવ્યું છે. રાજ્યપાલશ્રી આચાર્યદેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આગામી તા.૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ને સોમવારના રોજ સવારે ૧૦ વાગ્યે લાઠીના દુધાળામાં હેતની હવેલી ખાતે યોજાશે. ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગાય આધારિત અને પ્રાકૃતિક ખેતી કરનારા અને ગાય માતાના ઘડપણમાં પણ ગાય માતાને ઉમદા રીતે પાળી શકે તેવા ૭૫ ખેડુતોને ગાય અર્પણ કરી, ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા ગૌસેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવશે.
મહત્વનું છે કે, પ્રાકૃતિક ખેતીના હિમાયતી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી વિશે માહિતી અને માર્ગદર્શન આપશે. ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા ૭૫ ખેડુતોને ૭૫ ગાય માતાનું દાન કરવામાં આવશે. ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે લાઠીના દુધાળા સ્થિત હેતની હવેલી ખાતે ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવી રહેલા આ કાર્યક્રમમાં પદાધિકારીશ્રીઓ અને મહાનુભાવો સહિતના ઉપસ્થિત રહેશે.
Recent Comments