ગુજરાત

સહારા ઇન્ડિયામાં રોકાણ કરાવી ૪૪ લાખ પરત ન કરતા ૨૯ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ

સહારા ઇન્ડિયાની વિવિધ સ્કીમોમાં રોકાણ કરાવી ૪૪ લાખ ૪૦ હજાર રૂપિયા પરત નહીં કરતા કંપનીના મેનેજર તેમજ માલિક સામે વધુ એક ફરિયાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઇ છે. જેમાં ફરિયાદીએ નાણા પરત માંગતા કંપનીના કર્મચારીઓ માર મારવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. વડોદરાના ગોત્રી હરિનગર વિસ્તારમાં આવેલ શિવમ ટેનામેન્ટમાં રહેતા પવન સુભાષચંદ્ર ફુલ્લી પેસ્ટીસાઇડની કંપની ધરાવે છે. વર્ષ ૨૦૦૦માં તેમનો સંપર્ક સહારા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એજન્ટ ઉશ્માનભાઇ હબીબભાઇ પટેલ (રહે. કડુજીનગર, અકોટા, વડોદરા) સાથે થયો હતો. ઉશ્માન પટેલે સહારા કંપનીમાં મૂડીરોકાણની વિવિધ સ્કીમની માહિતી આપી અને સારુ વળતર મળશે તેમ જણાવી પવન ફુલ્લીની પત્ની તથા ભાભી અને તેમની બે દિકરીઓના નામે ૩૬ લાખ ૧૭ હજાર રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. જ્યાર બાદ પાકતી મુદતે વ્યાજ સહિતની રકમ લેવા માટે વડોદરાના ન્યાય મંદિર પાસે આવેલ સહારાની ઓફિસે જતાં તેઓને કંપની પાસે હાલ રૂપિયા નથી તેમ જણાવવામાં આવ્યું હતું.

તેમજ મેનેજર પ્રવિણ ચતુર્વેદી અને એરિયા મેનેજર રાકેશ કુમાવતે જાે તેઓ પાકતી મુદતના રૂપિયા માસિક સ્કીમમાં રોકી દે તો તેમને મહિને ૨૨ હજાર રૂપિયા વ્યાજ મળશે તેમ જણાવ્યું હતું. જેથી પવન ફુલ્લીએ સહારાની માસિક સ્કીમમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા. પરંતુ તેનું પણ ત્રણેક મહિના વ્યાજ આવ્યા બાદ વ્યાજ આપવાનું બંધ થઇ ગયું હતું. ફરિયાદી પવન ફુલ્લીએ આક્ષેપ કર્યો છે કે રોકાણ કરેલા રૂપિયા પરત માંગતા સહારા કંપનીના કર્મચારીઓ માર મારવાની ધમકી આપે છે. જાે કંપની પાસે કર્મચારીઓને પગાર ચુકવવા રૂપિયા છે. ઓફિસોના ભાડા ચુકવવા રૂપિયા છે તો પછી અમારા મૂડીરાકણને પરત કરવા રૂપિયા કેમ નથી? આ મામલે તેમણે સહારા કંપનીના વડોદરાના સ્થાનિક મેનેજર સહિત કંપનીના માલિક સુબ્રતો રોય સહિત કુલ ૨૯ લોકો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Related Posts