ચલાલા ગામના નિવૃત શિક્ષક સુલેમાન દલનું ઘર એટ્લે જાણે ‘રેડિયો મ્યુઝિયમ’ પત્રકાર બિપીનભાઈ પાંધીએ પણ આ સુલેમાન દલ સાહેબ પાસે પ્રાથમિક શાળામાં ચિત્રનું શિક્ષણ લીધેલ છે.

વાલ્વ વાળા રેડિયોથી લઈને અત્યાધુનિક સુધી વિવિધ ૨૦૦ રેડિયોનો સંગ્રહ ધરાવતા સુલેમાન દલ રેડિયોના ખરા ગ્રાહક, સાધક અને ચાહક છે. બંધ અને બિસ્માર હાલતમાં હોય તેવા રેડિયોને પણ મૂળભૂત સ્થિતિમાં લાવી અને રેડિયો શરૂ કરવાનો શોખ ધરાવતા સુલેમાન દલ એક ખરાં અર્થમાં રેડિયો પ્રેમી છે.
૧૩ ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સ્માર્ટ ફોનના યુગમાં આજે પણ આપણો રેડિયો એટલો જ સાંપ્રત છે હયાત છે. ત્યાં સુધી કે મોબાઈલમાં રેડિયોનો સમાવેશ કરવો પડયો એટલી તો એ રેડિયોની મહત્તા છે. ‘વિશ્વ રેડિયો દિવસ’ તવારીખ ચકાસતા જાણવા મળે છે કે, યુનેસ્કો દ્વારા ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૨ ના રોજ પ્રથમ વાર વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવ્યો હતો. આજે ૧૩મી મંગળવારે જ્યારે સમગ્ર વિશ્વમાં રેડિયો દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લાના ચલાલા ગામના નિવૃત શિક્ષકનો રેડિયો પ્રેમ સૌને પ્રેરણા આપનારો છે . રેડિયો આજે પણ ભૂતકાળ જેટલો સાંપ્રત છે જો કે, હવે રેડિયોનું સ્વરૂપ બદલાઈ ગયું છે. એક જમાનામાં વાલ્વવાળો એન્ટેનાર્થી ચાલતો રેડિયો આજે લોકોના મોબાઇલથી લઈને નાઈટ લેમ્પ સુધી પહોંચી ચૂક્યો છે. આ સ્થિતિમાં ચલાલાના રેડિયો સંગ્રાહક સલેમાનભાઈ દલના રેડિયો સંગ્રહ વિશે અને તેમના રેડિયો પ્રેમ વિશે જાણવા જેવુ છે. સુલેમાનભાઈ દલના ઘરમાં પ્રવેશતા જ ચોતરફ રેડિયો જોવા મળે છે . ઘરના જુદા- જુદા ભાગોમાં જયાં જુઓ ત્યાં ફકત રેડિયો જ નજરે પડે છે. આ તમામ રેડિયો આજે પણ શરૂ છે અને વર્કિંગ કન્ડિશનમાં છે. ૭૮ વર્ષીય આદરણીય સુલેમાનભાઈ પાસે વિવિધ કંપનીઓના, વિવિધ મિકેનિઝમથી ચાલતા અને વિવિધ પ્રકારના અને આકારના કયાંય જોવા ન મળે તેવા.
અતિ દુલર્ભ કહી શકાય તેવા રેડિયો પણ છે. આ રેડિયો ફક્ત સંગ્રહ માટે નથી પરંતુ તેની એક એક જીણવટભરી બાબતોનો તેઓ અભ્યાસ કરે છે. તેમને રેડિયોના એક એક પાર્ટ વિશે તલસ્પર્શી જાણકારી હોય છે. બંધ હાલતમાં મળી આવેલા રેડિયોના અસલ પાર્ટ ગમે ત્યાંથી શોધી અને તેઓ જાતે જ રીપેર કરી તેને શરુ કરે છે. તેમની પાસે આ પ્રકારના અનેક રેડિયો છે . રેડિયોના શોખ વિશે માહિતી આપતાં શ્રી દલ જણાવે છે કે મને, નાનપણથી જ રેડિયોનો શોખ હતો, ચલાલા માં ડો. પોટા નામે તબીબ રહેતા હતા જેમના ઘરે રેડિયો હતો. હું છ વર્ષનો હતો ત્યારે તેમના ઘરે રેડિયો સાંભળવા માટે અમે જતાં. ત્યારબાદ વર્ષ ૧૯૬૪માં અમરેલી ખાતે ટેકનિકલનો અભ્યાસ કરવા ગયો ત્યારથી જ મને ઈલેક્ટ્રોનિક ચીજો અને ખાસ કરીને રેડિયોનો શોખ હતો. મારે રેડિયોના વેચાણની દુકાન હતી એટ્લે રેડિયો સાથે ખૂબ લગાવ હતો. જો કે, રેડિયો સંગ્રહની શરૂવાત નોકરીમાંથી નિવૃત્તિ બાદ, વર્ષ ૨૦૦૦ થી કરી હતી. આ રેડિયોનો સંગ્રહ કરતાં કરતાં આજે મારી પાસે વાલ્વવાળા વિવિધ ૭૨ રેડિયો છે . જયારે ૧૨૨ જેટલા ટ્રાન્ઝિસ્ટર રેડિયો મળીને કુલ ૨૦૦ રેડિયો સંગ્રહમાં છે . આ તમામ રેડિયો વર્કિંગ કન્ડિશનમાં છે. તેમના સંગ્રહમાં રહેલા રેડિયોમાં અનેક બેંડવીથ ધરાવતા રેડિયોનોસમાવેશ થાય છે. જેમાં વધુમાં વધુ ૩૨ બૈન્ડનો રેડિયો પણ છે. આ રેડિયો સ્ટીમરમાં વપરાતો હોવાનું અનુમાન છે. મરછુંનો ડેમ તૂટવાની ઘટના હોય કે પછી ‘ રંગભૂમીના રંગો’ નામનો રાજકોટ સ્ટેશનનો યાદગાર કાર્યક્રમ આ તમામ બાબતો સાથે સુલેમાનભાઈ દલની યાદોં, રેડિયોના કારણે જ જોડાયેલી છે, તેઓ રેડિયોના ગ્રાહક સાધક અને ‘રેડિયો મેન’ છે તેવું કેહવામાં સહેજ પણ અતિશ્યોક્તિ નથી. રેડિયો ઉપરાંત સુલેમાન દલ પાસે જૂની ઈલેક્ટ્રોનિક ચીજો જેમ કે સ્પીકર રેર ગ્રામોફોન પ્લેયર, ચેંજર, હાથથી સંચાલિત વિડીયો કેમેરા જેવી કિંમતી ચીજોનો પણ દુર્લભ ખજાનો છે. આ ઉપરાંત તેઓ પાસે ફૂલો અને થોરની વિવિધ પ્રજાતિઓનો પણ સંગ્રહ છે. રેડિયોનો ઈતિહાસ: આકાશવાણીની માહિતી મુજબ ભારતમાં વર્ષ ૧૯૨૩માં ભારતમાં’ રેડિયો ‘ કલબ ઓફ બોમ્બે નામનું પહેલું અને ખાનગી રેડિયો દ્વારા પ્રસારકાર્ય શરૂ કર્યું હતું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર ૧૯૨૩માં’ કલકતા રેડિયો કલબ’ ની સ્થાપના થઈ. સપ્ટેમ્બર ૧૯૩૫માં શ્રી એમ. બી. ગોપાલસ્વામિ એ ‘આકાશ વાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું. જો કે ત્તેના એક જ વર્ષ પછી ૮ જૂન ૧૯૩૬ના રોજ બધા જ સરકારી, ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ઓલ ઇંડિયાના રેડિયોની સ્થાપના કરવામાં આવી. દેશની આઝાદી પછી પહેલી વાર વર્ષ ૧૯૫૬માં ‘ઓલ ઈન્ડિયા રેડિયો’ નું નામ ‘આકાશવાણી’ રાખવામા આવ્યું. ગુજરાત રાજયમાં આઝાદી પહેલા જ્યારે દેશી રજવાડાઓનું રાજ હતું ત્યારે સૌ પ્રથમ તત્કાલિન બરોડા સ્ટેટના ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા વર્ષ ૧૯૩૯માં રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું, જે આઝાદી બાદ સરકારને સોપી દેવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૯૪૯માં અમદાવાદ રેડિયો સ્ટેશનનો આરંભ કરવામાં આવ્યો હતો.
Recent Comments