ગુજરાત

દહેગામમાં દંપતી વચ્ચેના ઝઘડાનું સમાધાન કરવા જતા ધીંગાણું : તલવાર-ધોકાથી હુમલો થતા બેનાં મોત ૧૩ ઘાયલ

ગાંધીનગરના દહેગામમાં દંપતી વચ્ચે ઘણા વખતથી ચાલી રહેલો ઝઘડો લોહીયાળ બન્યો હતો. દંપતી વચ્ચેના ઝઘડાનું સમાધાન કરવા જતા ખેલાયેલા આ ધીંગાણામાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ૧૩ જણા ઘાયલ થયા હતા. સારવાર અર્થે તેમને ગાંધીનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ દહેગામમાં મદારી દંપતી વચ્ચે છેલ્લા ઘણા વખતથી માથાકૂટ ચાલતી હતી. જે મામલે શનિવારે સમાજનું પંચ ભેગું થયું હતું. જે બાદ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જમાઈએ મળતિયાઓ સાથે મળીને ઘાતકી હૂમલો કરતાં સાળા તેમજ પંચના એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

જ્યારે નાના બે બાળકો સહિત ૧૩ જેટલા લોકોને ઈજાઓ થઈ હતી. જે પૈકી મહિલા સહિત ચારેક જણાને અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે બાકીના ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ છે.આ અંગે હુમલાનો ભોગ બનનાર દહેગામના મદારી નગરમાં રહેતા જાનનાથ જીજુનાથ મદારી જણાવ્યું કે, તેમની દીકરીનાં લગ્ન વનરાજ ઉર્ફે વનીયો કંચનનાથ મદારી સાથે થયા હતા. આ લગ્નથી તેમને બે જાેડિયા બાળક છે. વનરાજને અન્ય એક મહિલા સાથે અવૈધ સંબંધો હોવાથી છેલ્લા ચાર પાંચ વર્ષથી ઝઘડો ચાલી રહ્યો છે.

જે બાબતે જે તે વખતે પોલીસ કેસ કરવામાં આવ્યો હતો અને ભરણપોષણનો કેસ પણ ચાલી રહ્યો છે. એકાદ મહિના અગાઉ ફરીવાર ઝઘડો થતાં વનરાજે પણ ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાબતે સામાજિક રીતે વનરાજ સાથે સમાધાનના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ તે પ્રેમિકાને છોડવા માગતો ન હતો અને મારી દીકરીને ત્રાસ આપતો હતો. જેનાં લીધે ગભરાઈને જતાં રહ્યાં હતાં.જાનનાથ જીજુનાથ મદારી જણાવ્યું કે, ગઈકાલે પોલીસ સ્ટેશને હાજર થવા માટે બધા ગયા હતા. એ વખતે સમાજનું પંચ પણ એકઠું થયું હતું. પરંતુ ઝગડાનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું. વનરાજ હુમલો કરશે એવી આશંકા હોવાથી અમે પોલીસને પણ જાણ કરી હતી. બાદમાં બધા અલગ અલગ વાહનોમાં પરત ઘરે ફરી રહ્યા હતા. જ્યાં કપડવંજના ઊંટડીયા મહાદેવ રોડ ઉપર વનરાજ સહિતના મળતિયાઓએ ગાડીઓને આંતરી બોલેરો ગાડી ઉપર લાકડી વડે હૂમલો કર્યો હતો.

જેનાં કારણે બોલેરો રોડની રેલીંગનાં પતરામાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.જાનનાથ જીજુનાથ મદારીએ વધુમાં જણાવ્યું કે, અકસ્માત સર્જાયો એજ ઘડીએ જમાઈ વનરાજ મદારી સહિતના તેના મળતિયા આવી ગયા હતા અને ઘાતક હથિયારો વડે હૂમલો કર્યો હતો. બાદમાં બધા ત્યાંથી ભાગી ગયા હતા. આ હુમલામાં તકલીબેન પિપલનાબ મદારી, કલાબેન દામુનાથ મદારી, રાજુનાથ દિલિપનાથ મદારી, પૃથ્વીરાજ વનરાજભાઈ મદારી, સચિન મદારી, ધારાનાથ મદારી, મુન્નાનાથ મદારી, એરનબેન મદારી, નેતલ મદારી, જગનાથ મદારી , અનંત મદારી, મુન્નાનાથ મદારી ઈજાઓ થઈ હતી. જેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સચિન મદારી અને પંચના માણસ મુન્નાનાથ મદારીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે એરનબેન મદારી સહિત ચાર લોકોને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા છે.

આ અંગે દહેગામ પોલીસે જણાવ્યું હતું કે, વનરાજ મદારી અને તેની પત્ની વચ્ચે છેલ્લા ઘણે સમયથી ઘર કંકાસ ચાલી રહ્યો હતો. એકાદ મહિના અગાઉ વનરાજ તેમજ તેના પિતા સહિતના સાસરીયા ઉપર તેની પત્નીના પરિવારજનોએ હુમલો કર્યો હતો જે મામલે સદાનાથ મદારી, ધારાનાથ મદારી, ભૂપતનાથ મદારી તેમજ જાનનાથ મદારી વિરોધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનાની જામીન સહિતની કાનૂની પ્રક્રિયા અર્થે તેઓ પોલીસ સ્ટેશનને આવ્યા હતા બાદમાં કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ જતા બધા ઘરે જવા રવાના થયા હતા. આ દરમિયાન વનરાજ સહિતના સાસરિયાઓએ ગાડીઓનો પીછો કર્યો હતો અને લાકડી વડે બોલેરો ગાડીને મારતા અકસ્માત સર્જાયો હતો.

જે બાદ વનરાજ સહિતના લોકોએ ઉપરોક્ત લોકો ઉપર હુમલો કર્યો હતો. જેમાં વનરાજના સાળા સચિન મદારી અને મુન્નાનાથ મદારીનું મોત નીપજ્યું છે. આ અંગે વધુમાં જાણવા મળ્યું કે, થોડા દિવસો અગાઉ દહેગામના મદારી નગરમાં બંને પક્ષે માથાકૂટ થઇ હતી. જેથી બંને પક્ષે એકબીજાનાં ઘરોમાં તોડફોડ કરી હતી. વનરાજ ઉર્ફે વનીયા વિરુદ્ધ અગાઉ પણ ગંભીર ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. મહત્વનું છે કે, વનરાજ મદારી અમદાવાદમાં નાગા બાવાનાં રૂપમાં લોકોને હીપનોટાઇઝ કરી દાગીના-રોકડ પડાવી લેતો હતો. જેના પર અગાઉ ૨૩ જેટલા ગુના નોંધાયેલા છે. જે લક્ઝુરિયસ કારમાં મંદિરે જતો હતો. ત્યાં આવતા લોકોને રસ્તો પૂછવા અથવા તમારી ઉપર ખોટી વિદ્યાનો પ્રકોપ છે એવી વાતો કરી લોકોને હિપ્નોટાઈઝ કરતો હતો. જે-તે વ્યક્તિ તેની વાતોમાં આવી જાય. ત્યારબાદ હવામાં ભસ્મ ઉડાવી સ્તબ્ધ કરી દેતો અને સોનું કે ખિસ્સામાંથી રૂપિયા કઢાવીને ફરાર થઈ જતો હતો.

Related Posts