ગુજરાત

ગુજરાત પોલીસના રિકન્સ્ટ્રકશનને વરઘોડો ન કહોઃ ડીજીપી વિકાસ સહાય

આરોપીઓનો પોલીસ દ્વારા કાઢવામાં આવતા વરઘોડા બાબતે, રાજ્યના પોલીસ વડા દ્વારા એક ખાસ નિવેદન આપવામાં આવી છે. ગુજરાત પોલીસ ક્યારેય કોઈ આરોપી માટે સરઘસ કાઢતી નથી, જ્યારે કોઈ ગુનો થાય છે ત્યારે આરોપીને પુરાવા એકત્ર કરવા અને પુનઃનિર્માણ માટે ગુનાના સ્થળે લઈ જવામાં આવે છે, તેને રિકન્સ્ટ્રકશન કહેવાય છે. પોલીસ ક્યારેય સરઘસ શબ્દનો ઉપયોગ કરતી નથી, આ શબ્દ મીડિયામાંથી આવ્યો છે. આ શબ્દો છે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના. સુરતમાં એક પત્રકાર પરિષદમાં મીડિયાને સંબોધતા તેમણે આ વાત કહી. આ સાથે જ ગુજરાત પોલીસમાં શરૂ થયેલી નવી ‘વરઘોડા’ પરંપરા અંગે વિવાદ શરૂ થયો છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં શહેરના પરિસરમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓની પરિષદ યોજાઈ હતી. પોલીસ કમિશનરની ઓફિસમાં સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરો અને નવી રેન્જના ૈંય્ર્ં હાજર રહ્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે રાજ્યના ગૃહમંત્રી, ડીજીપી અને તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું સ્વાગત કર્યું.
ક્રાઈમ કોન્ફરન્સમાં, દરેક પોલીસ કમિશનર અને આઈજીઓએ વર્ષ ૨૦૨૪ માં તેમના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે કરવામાં આવેલા કાર્યો પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કર્યા. બેઠકમાં પરિણામલક્ષી પગલાં તેમજ ભવિષ્યના રોડમેપની સમીક્ષા કરવામાં આવી.

ક્રાઈમ કોન્ફરન્સ પછી યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસના કાર્યમાં ધીમે ધીમે સુધારો કરવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસના કામને વધુ અસરકારક બનાવવા માટે એક રોડ મેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પોલીસ અને જનતા વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો વિકસાવવા અને નાગરિકોને સુરક્ષાની ભાવના પૂરી પાડવા માટે પોલીસ દ્વારા કોમ્યુનિટી આઉટરીચ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.

ડીજીપીએ વધુમાં જણાવ્યું હતું કે “તેરા તુઝકો અર્પણ” પહેલ હેઠળ, વર્ષ ૨૦૨૪ માં રાજ્યભરમાં ૩૩૦૦ કાર્યક્રમો દ્વારા ૧૫૩ કરોડ રૂપિયાની મિલકતો લોકોને પરત કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન સાયબર છેતરપિંડીના ભોગ બનેલા લોકોએ ગુમાવેલા ૧૦૮ કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. ગંભીર ગુનાઓમાં ડીવાય એસપી સ્તરના અધિકારીઓ ગુનાના સ્થળોની મુલાકાત લે છે અને તપાસ કરે છે. પોલીસ વડાએ એમ પણ કહ્યું કે ગંભીર ગુનાઓમાં ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી વૈજ્ઞાનિક તપાસ માટે સહાયક પોલીસ કમિશનર અને સબ-ડિવિઝનલ પોલીસ અધિકારીઓની કચેરીઓમાં ક્રાઇમ સીન મેનેજરોની નિમણૂક કરવામાં આવી છે.

Related Posts