અમરેલી તા.૧૩ મે, ૨૦૨૫ (મંગળવાર) અમરેલી તાલુકાના ૪૫ ગામમાં આવેલી સરકારી ઇમારતો પર પડતું વરસાદી પાણી વહી નથી જતું પરંતુ તેને સીધું જ પૃથ્વીના પેટાળમાં ઉતારવામાં આવે છે. છેલ્લાં થોડાં સમયથી નાગરિકો વરસાદી પાણીના સંગ્રહ માટે વધુ જાગૃત્ત બન્યા છે. આજની પેઢી પ્રકૃતિ અને પર્યાવરણ સંરક્ષણના નોંધનીય પગલાઓ થકી ભાવિ પેઢીને વધુ ઉત્તમ તો શું ભેટ આપી શકે?
અમરેલી તાલુકા વિકાસ અધિકારી શ્રી જયેશ કટેશિયા કહે છે કે, વરસાદી પાણીને બચાવવા અમરેલી તાલુકાના વિવિધ ગ્રામ પંચાયત ભવન, પ્રાથમિક શાળા, આંગણવાડી અને કોમ્યુનિટી હોલ સહિતના સરકારી ભવનની છતનો રચનાત્મક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મનરેગા અને ૧૫માં નાણાપંચ હેઠળ અમરેલી તાલુકાના ૪૫ ગામોમાં બોર અને પીટ રિચાર્જના ૬૮ કામો કરવામાં આવ્યા છે.
મનરેગા યોજના અંતર્ગત પીટ (એક પ્રકારનો ખાડો) રિચાર્જના ૫૪ અને ૧૪ બોર રિચાર્જના કામો કરવામાં આવ્યા છે. જેમાં ગ્રામ પંચાયત ભવન, પ્રાથમિક શાળા, આંગણવાડીની પાકી છત ઉપર પડતાં વરસાદી પાણીને પાઇપલાઇન વડે પીટ અને બોરમાં ઉતારવામાં આવે છે. પીટમાં ૬*૬ ઊંડો ખાડો બનાવવામાં આવે છે, જેમાં વરસાદી પાણી ભૂગર્ભમાં ઊતરી જાય તે માટે રેતી અને કપચી નાખવામાં આવે છે.
શ્રી કટેશિયા વધુમાં કહે છે કે, બોર રિચાર્જ માટે બોરની ફરતે ૮ ફૂટ ઊંડું ખોદાણ કરવામાં આવે છે, જે ગોળાકાર કે ચોરસ આકારનું હોય છે, વરસાદી પાણી પૃથ્વીના પેટાળમાં ઉતરે તે પ્રકારે તેનું ચણતર કરવામાં આવે છે. ૧૫માં નાણાપંચ હેઠળ ૩૫ જેટલા પીટ રિચાર્જના કામ કરવામાં આવ્યા છે. તેમાં પણ ૫*૫નો ૬ ફુટ ઊંડો ખાડો કરવામાં આવે છે. વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે તેવી રીતે પાકું બાંધકામ છે.
અમરેલી તાલુકાના કમીગઢ, રાજસ્થળી, રંગપુર, શેડુભાર, ફતેપુર, પીઠવાજાળ, ગાવડકા, વડેરા, દેવરાજિયા, સોનારિયા સહિતના ૪૫ ગામોમાં આ જળસંચયના કામો કરવામાં આવ્યા છે. શ્રી કટેશિયાએ ઉમેર્યુ કે, જિલ્લાના અમરેલી તાલુકામાં થયેલા જળસંચયના આ વિકાસકાર્યોએ અન્ય નાગરિકોને પણ તેમની ઇમારતો પર વરસતા વરસાદના પાણીના ભૂગર્ભમાં સંગ્રહ માટે પ્રેરણા પૂરી પાડી છે.
આ માટે નાગરિકો પોતાના ઘરમાં પણ ટાંકાનું નિર્માણ કરી શકે છે અને વરસાદી પાણીના સંગ્રહ માટે પહેલ કરી શકે છે. વધુમાં રાજય સરકારની હર ઘર સોલારના અભિગમ થકી સોલાર ઉર્જાના બખૂબી ઉપયોગ માટે નાગરિકો જાગૃત્ત બન્યા છે. રાજય સરકારના હરિયાળા ગુજરાતના સંકલ્પને સાકાર કરવા આપણે જાગૃત્તિ દાખવીએ.
Recent Comments