રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી લાઠીના હેતની હવેલી- દુધાળા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ – પ્રકૃતિના શરણે પરીસંવાદમાં સહભાગી બની પ્રકૃતિ-પર્યાવરણ અને જન આરોગ્ય માટે આશીર્વાદરૂપ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે ખેડૂત ભાઈઓ- બહેનોને પ્રેરિત કર્યા હતા.
અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ પરીસંવાદમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આજે રાસાયણિક ખેતીથી જમીન બિન ઉપજાવ બની છે, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના અતિરેકભર્યા ઉપયોગના કારણે દેશની જમીનનો ઓર્ગેનિક કાર્બન ૦.૫ ટકાથી નીચે પહોંચ્યો છે. જેથી ખેડૂતોનું ખેત ઉત્પાદન ઉતરોત્તર ઘટી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, જમીનને ફરી ફળદ્રુપ અને ઉપજાવ બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર વિકલ્પ છે, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિથી જમીન પુનઃ જીવિત બને છે. તેમણે કહ્યું કે, ગાયનું ગોબર જીવાણુઓનો અને ગૌમૂત્ર ખનીજોનો ભંડાર છે. ગાયના એક ગ્રામ ગોબરમાં ૩૦૦ કરોડ સૂક્ષ્મ જીવાણુઓ હોય છે.
રાસાયણિક કૃષિથી જળ, જમીન, વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. સાથે જ જન આરોગ્ય જોખમાઈ રહ્યું છે. કેન્સર, ડાયાબિટીસ, કિડની સહિતની બીમારીઓ વધી છે. ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગનો પ્રભાવ લોકોના આહાર અને આરોગ્ય પર પડી રહ્યો છે. કેન્સર સહિતની બીમારીઓ વધવાની સાથે, નાની વયના લોકો પણ જીવલેણ હાર્ટ એટેકના ભોગ બની રહ્યા છે.
રાજ્યપાલશ્રીએ શ્રીમદ ભગવત ગીતાના સંદર્ભને ટાંકતા કહ્યું હતું કે, લોકોના આહારનો પ્રભાવ તેના મન પર થઈ રહ્યો છે, જેથી લોકોમાં હિંસકતા, ગુસ્સો વધવાની સાથે સહનશક્તિ જેવા ગુણોનો અભાવ જોવા મળી રહ્યો છે. શુદ્ધ આહારથી જ સ્વસ્થ મન અને સ્વસ્થ સમાજ નિર્માણ પામશે.
રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રકૃતિના સિદ્ધાંતોને અનુસરવાની અપીલ કરતાં કહ્યું હતું કે, ખેતીમાં કૃષિ પાકો અને છોડ માટેના પોષણની કુદરતીદત્ત વ્યવસ્થા કરી છે. પ્રકૃતિને જે આપશો તે પરત આપશે એટલે કે, ઝેરયુક્ત ખેતીથી તેના વિપરીત પરિણામો જ મળશે. તેમજ રાસાયણિક કૃષિથી જમીન પથ્થર જેવી સખત બની ગઈ છે, જેથી પુર અને દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. જ્યારે પ્રાકૃતિક કૃષિથી જમીનમાં પાણી ઉતરે છે, જેનાથી ભૂમિગત જળમાં વધારો કરે છે.
રાજ્યપાલશ્રીએ રાસાયણિક, જૈવિક અને પ્રાકૃતિક કૃષિનો ભેદ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, ઓર્ગેનિક કૃષિ પ્રાકૃતિક કૃષિથી તદ્દન ભિન્ન છે, જૈવિક ખેતીમાં ઉત્પાદન મેળવવા માટે જુદા જુદા ઇનપુટ્સ નાખવા પડે છે, ઉપરાંત જૈવિક ખેતી મિથેન જેવો ગેસ પેદા કરી પર્યાવરણને નુકસાન કરે છે. ત્યારે પ્રાકૃતિક કૃષિમાં જંગલમાં ઝાડ જેમ કુદરતી રીતે હર્યાભર્યા હોય છે, તે જ સિદ્ધાંતોને પ્રાકૃતિક કૃષિ અનુસરે છે.
રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, ગુજરાત સદા દેશનું નેતૃત્વ કરતું આવ્યું છે, મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ સહિતના મહાપુરૂષોએ દોરવણી આપ્યા બાદ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમના નેતૃત્વમાં પ્રાકૃતિક કૃષિનું રાષ્ટ્રીય મિશન તો શરૂ થયું છે, સાથે જ દેશના સર્વાંગી વિકાસ સાધવાની સાથે દુનિયાભરમાં દેશનો યશ અને માન સન્માન વધ્યું છે. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિમાં પણ દેશભરમાં ગુજરાત નેતૃત્વ કરશે, તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ ખેડૂતોને તેમની પાસેથી આવનારી પેઢીને ઝેર મુક્ત આહાર મળે તે માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે વચન માંગ્યું હતું, જેને ખેડૂત ભાઈઓ બહેનોએ સમર્થન આપ્યું હતું.
આ તકે જિલ્લા કલેકટરશ્રીએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લો પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યો છે. જિલ્લાના આશરે ૧૮,૦૦૦ થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમજ અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે આગામી પેઢી પણ પ્રાકૃતિક કૃષિ સંશોધન ક્ષેત્રે આગળ વધી રહી છે જે ગર્વની વાત છે.
અંતમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાએ આભારવિધિ કરતાં આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ ખેડૂતોને નવી દિશા આપનારો બની રહેશે, તેમ જણાવ્યું હતું. આ પ્રાકૃતિક કૃષિ પરીસંવાદમાં ખેતીવાડી વિભાગના નાયબ નિયામક શ્રી પી.બી. ખિસ્તરીયાએ પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામોને આવરી લઈ ખેડૂતોનું વિગતવાર માર્ગદર્શન કર્યું હતું.
આ તકે રાજ્યપાલશ્રીએ અમરેલી જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત શ્રી ભરતભાઈ ચોવટીયા અને રમેશભાઈ ખૂટનું વિશેષ સન્માન કર્યું હતું. તેમજ પ્રાકૃતિક કૃષિ પરીસંવાદની સાથે આયોજિત આરોગ્ય કેમ્પ અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના સ્ટોલ્સની પણ મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, સામાજિક કાર્યકર અને શ્રી હરિ ગ્રુપના ચેરમેન શ્રી રાકેશભાઈ દુધાત, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, પ્રાંત અધિકારી શ્રી બ્રહ્મભટ્ટ, અમરેલી આત્મા પ્રોજેક્ટના નિયામક શ્રી એમ.જે.ઝીડ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કાનાણી, નાયબ બાગાયત નિયામક શ્રી કરમુર, નાયબ ખેતી નિયામક શ્રી પીપળીયા, સહિતના મહાનુભાવો અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments