વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે અમરેલી સ્થિત વનચેતના કેન્દ્ર ખાતે સામાજિક વનીકરણ રેન્જ, અમરેલી દ્વારા “પ્રકૃતિનું જતન, ભવિષ્યનું સર્જન” સૂત્ર સાથે ભવ્ય ‘બીજ મેળા’ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક તથા દુર્લભ વનસ્પતિઓના સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો અને નવી પેઢીમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો ભાવ વિકસાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન સ્થાનિક તેમજ લુપ્ત થવાના આરે રહેલી ૧૦૦થી વધુ વનસ્પતિ પ્રજાતિઓના બીજનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમરો, અરીઠા, સિંદુર, બીલી, બહેડા, કાંચનાર, વડ, સાગ, ખાખરો, લક્ષ્મીતરૂ, કપોક, ઘુઘરા, સોનમહોર, રતનગુંજ, ટીમ્બરૂ, કૈલાસપિત, કોડીયુ, ચણોઠી, મરડાશીંગ, બીચો, વાસંતી, પીપળો, ફાલસા, પીપર, વાંસ, સીસુ, કડાયો, વિકળો, ફાસીદ, કમળ કાકડી વગેરેનો સમાવેશ થાય છે.
મુલાકાતીઓને વિવિધ વૃક્ષો અને ઔષધીય વનસ્પતિઓના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી વિવિધ માહિતીપ્રદ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.
કાર્યક્રમની વિશેષતા તરીકે અમરેલી સંકુલના આયુર્વેદિક કોલેજ, નેત્ર ચિકિત્સા ચેરિટેબલ ટ્રસ્ટ, અંદાજે ૧૧૦ જેટલા વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વનચેતના કેન્દ્રની નર્સરીની મુલાકાત લઈ વિવિધ છોડ અને વૃક્ષોની વૈજ્ઞાનિક માહિતી મેળવી હતી. સાથે જ માટી અને સેન્દ્રિય ખાતરના ઉપયોગથી ‘સીડ્સ બોલ’ (Seeds Ball) બનાવવાની પ્રાયોગિક કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી, જે આગામી ચોમાસામાં હરિયાળી વધારવામાં ઉપયોગી બનશે.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વનચેતના કેન્દ્રના પરિસરમાં મહાનુભાવો અને વન વિભાગના અધિકારીઓના હસ્તે પ્રતીકાત્મક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકો અને વિદ્યાર્થીઓને પોતાના ઘરઆંગણે વૃક્ષારોપણ કરી હરિયાળું પર્યાવરણ સર્જવા માટે નિઃશુલ્ક રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં અંદાજે ૨૦૦ જેટલા પ્રકૃતિપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યના જતન અને વૃક્ષારોપણના મહત્વ અંગે પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષકશ્રી દક્ષાબહેન ભારાઈ, મદદનીશ વન સંરક્ષકશ્રી ડૉ. રાજન જાદવ, અગ્રણીશ્રી અતુલભાઈ કાનાણી, અગ્રણીશ્રી મહેશભાઈ જાવિયા, વિદ્યાસભા શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટીશ્રી, વસંતભાઈ પેથાણી, શ્રી,ચતુરભાઈ ખુંટ, લાયન્સ ક્લબના પ્રમુખશ્રી રૂજુલભાઈ ગોંડલિયા, અગ્રણીશ્રી જયેશભાઈ પંડ્યા, રોટરી ક્લબના હોદ્દેદારો, સામાજિક આગેવાનો, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments