આજરોજ રાજ્ય સરકારના રાજ્ય આરોગ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાવરકુંડલાના જુના સાવર અને આંબરડી મુકામે નવનિર્મિત અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય આરોગ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યુ કે, રાજ્ય સરકારના સતત પ્રયત્નો થકી છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓનું માળખું મજબૂત બન્યુ છે. રાજ્ય સરકાર દરેક ગામડાના પ્રશ્નો સાભળીને તેનું નિરાકરણ લાવવા કટિબદ્ધ છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, સમાજમાં અને લોકોમાં પરસ્પર પ્રેમ,કરુણા, દયાની ત્રિવેણી પવિત્ર ભાવનાઓ થકી જ સમાજને વધુ સશક્ત બનાવી શકાય છે અને વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, જુના સાવર અને આંબરડી મુકામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વર્ષો જુની માંગ પૂર્ણ થતા ગ્રામજનોમાં હર્ષની લાગણી વ્યાપી હતી. સુવિધાસંપન્ન બંને અદ્યતન ઓરોગ્ય કેન્દ્ર ખાતે મેલ-ફિમેલ વોર્ડ, માઇનરી ઓટી રૂમ, ડ્રેસિંગ અને ઇન્જેક્શન રૂમ, વિકલાંગ તેમજ મેલ-ફિમેલ ટોઇલેટ બ્લોક, લેબોરેટરી, કોલ્ડ ચેઈન રૂમ, મમતા ક્લિનિક, પ્રિ-ઓપરેશન રૂમ, ઓફિસ કમ સ્ટોર રૂમ, દવા વિતરણ રૂમ, પી.એમ.રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ બંને આરોગ્ય કેન્દ્રનું નિર્માણ અંદાજિત રૂ. ૨.૬૦ કરોડના (રૂ.૧.૩૦ કરોડ પ્રતિ આરોગ્ય કેન્દ્રનો ખર્ચ) ખર્ચે કરવામાં આવ્યુ છે. સુવિધાસંપન્ન નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના નિર્માણ થતા સ્થાનિક નાગરિકોને ઘર આંગણે જ ઉત્તમ આરોગ્ય સેવાઓનો લાભ મળશે.
વિશેષ ઉલ્લેખનીય છે કે, રાજ્ય આરોગ્ય મંત્રીશ્રીએ સાવરકુંડલા સ્થિત સ્થાનિક અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી. તેમણે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર તેમજ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અમરેલી દ્વારા આયોજિત ‘૭૦મી અખિલ ભારતીય શાળાકીય રમતગમત સ્પર્ધા‘ અંતર્ગત જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધામાં હાજરી આપીને કરાટે સ્પર્ધક બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ કાર્યક્રમોમાં જિલ્લા પંચાયત હોદ્દેદારો અને અગ્રણીશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન મહીડા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ શ્રી નયનાબેન કાપડીયા, જુના સાવર સરપંચ શ્રી કલ્પેશભાઈ કાનાણી, આંબરડી સરપંચશ્રી અને પંચાયત સભ્યશ્રીઓ, સી.ડી.એચ.ઓ અમરેલી ડો. સિંઘ, આર.ડી.ડી ભાવનગર શ્રી ડો. હરેશ વાળા, સાવરકુંડલા મામલતદાર શ્રી દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી શ્રી જિગ્નેશ વાઘાણી સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments