વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં રપ વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર અમરેલી જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાનના પ્રથમ દિવસે જ એટલે કે આવતીકાલ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ જિલ્લાના તમામ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે “સેવા મેરા યોગદાન” અંતર્ગત તાલુકા વાઇઝ મેગા બ્લડ ડોનેશન અને MVBDC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા અમરેલી જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં આ કેમ્પ યોજાશે. જે અંતર્ગત સાવરકુંડલામાં જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી કે.કે. મહેતા હોસ્પિટલ ખાતે સવારે ૦૯:૦૦ થી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી રક્તદાન કરી શકાશે. જ્યારે અમરેલી તાલુકામાં પી.એચ.સી વાંકીયા અને જૂના માર્કેટિંગ યાર્ડ સ્થિત કર્તવ્ય કાર્યાલય ખાતે તેમજ બાબરા તાલુકામાં પી.એચ.સી મોટા દેવળીયા અને સી.એચ.સી બાબરા ખાતે સવારે ૦૯:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી આ કેમ્પ ચાલશે.
આ ઉપરાંત, બગસરામાં કુંકાવાવ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે, કુંકાવાવમાં સી.એચ.સી કુંકાવાવ ખાતે, રાજુલામાં એસ.ડી.એચ રાજુલા ખાતે તેમજ જાફરાબાદમાં પીપળી કાંઠા પાસે આવેલ બંદર જેટી ખાતે સવારે ૦૯:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા તેમજ દિતલા-ધારી ખાતે બપોરે ૦૨:૩૦ થી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે. તમામ કેમ્પની જગ્યાએ રક્તદાતાઓ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ તમામ કેન્દ્રો પર તબીબી ટીમો દ્વારા રક્ત એકત્રિત કરવાની કામગીરી સુચારૂ રૂપે હાથ ધરવામાં આવશે.
“લોહીનું દાન એ મહાદાન છે” અને ‘સેવા સંકલ્પ અભિયાન’ના આ પવિત્ર અવસરે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલીના તમામ રક્તદાતાઓ, યુવાનો અને સેવાભાવી નાગરિકોને પોતાના નજીકના કેન્દ્ર પર ઉપસ્થિત રહીને બહોળી સંખ્યામાં રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવે છે. આ મહા-અભિયાનમાં દરેક નાગરિક પોતાનું સક્રિય યોગદાન આપીને સેવાના ભાગીદાર બને તેમ અપીલ કરવામાં આવી છે.














Recent Comments