ગુજરાત

રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓને સરખાવી ન શકાયઃ હાઇકોર્ટ

કોરોનાની મહામારીમાં શિક્ષણને અસર પહોંચી છે. વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ છેલ્લા એક વર્ષથી ઓનલાઈન ચાલી રહ્યું છે. તે ઉપરાંત કેટલીક પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અને કેટલીક પરીક્ષાઓ પાછી ધકેલવામાં આવી છે. સરકારે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. પરંતુ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી ૧૫ જુલાઈએ યોજાવાની છે. જેને લઈને ઓલ ગુજરાત વાલી મંડળે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં. વાલી મંડળે રજૂઆત કરી હતી કે રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ ન થવો જાેઈએ તેમને પણ માસ પ્રમોશન મળવું જાેઈએ.

આજે હાઇકોર્ટે આ બાબતની સુનવણી દરમિયાન અરજદારની તમામ રજુઆત સાંભળી હતી. કોર્ટે કહ્યું હતું કે રેગ્યુલર અને રિપીટર આ વિધાર્થીઓને સરખાવી ન શકાય. કારણ કે રેગ્યુલર વિદ્યાર્થીઓ શાળાના ઓનલાઈન લેક્ચર લઈને ભણ્યા છે જેનો પુરાવો છે તેના આધારે તેઓ ને માસ પ્રમોશન યોગ્ય છે. પરંતુ રિપીટર વિદ્યાર્થીઓ આ મહામારીમાં કેવી રીતે ભણ્યા અથવા ન પણ ભણ્યા હોય તેના આધારે તેઓને પ્રમોશન આપવું યોગ્ય નથી. તેઓએ તેમના કરિયરમાં ૧ કે ૨ વર્ષ ફેલ થવાના કારણે બગાડ્યા છે તેથી હવે પરીક્ષાને લંબાવીને પણ તેમને જ નુકશાન છે. આ બાબતે અમે હાલ સરકારને કોઈ ટીપ્પણી કરતા નથી.તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે પણ અમે સલાહ આપીએ છીએ.આ બાબતે વધુ સુનવણી મંગળવારે હાથ ધરાશે.

Related Posts