સુરતમાં ગત મંગળવારની મધરાત્રે ચોકબજાર પોલીસ દ્વારા જે યુવકની તેના ઘરેથી અટકાયત કરાઇ હતી તેને પોલીસ બીજા દિવસે મૃત હાલતમાં ઘરે મૂકી ગઇ હોવાનો આક્ષેપ મૃતકના પરિવારે લગાવ્યો છે. બીજી તરફ, પોલીસ યુવકને ખેંચની બીમારી હોવાનું તેમજ જામીન પર મુક્ત થયા બાદ તેનું શું થયું એ કહેવું મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું.
ભરીમાતા રોડ સાબરી નગરમાં રહેતા અને મજૂરી કરતા ઇરશાદ આલમ શેખની સાસુ રસીદાબાનુએ જણાવ્યું હતું કે તેનો જમાઈ ઇરશાદ મજૂરીકામ કરે છે. મંગળવાર રાત્રે ચોકબજાર પોલીસે ઘરે આવી જૂના કોર્ટ કેસમાં ઇરશાદના ફોટાની પોલીસને જરૂર છે કહીને તેને રિક્ષામાં લઈ ગયા હતા. બુધવારે બપોર બાદ પોલીસવાળા રિક્ષામાં તેને ઘરે છોડી ગયા હતા. ઇરશાદ ત્યારે મૃત અવસ્થામાં હતો. તેને લોખાત હોસ્પિટલમાં લઈ જતાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો, તેથી પોલીસે તેને માર્યો હોય એવું લાગે છે. તેના માથામાં ઇજાનાં નિશાન પણ છે.
ઇરશાદના મોતને લઇને બુધવારે રાત્રે લોખાત હોસ્પિટલ પર ટોળું ભેગું થયું હતું. લોકોમાં પોલીસ પ્રત્યે ભારે રોષ હતો, જેથી પોલીસને બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી. આ બાબતે ચોકબજાર પીઆઇ એ.એ.ચૌધરીએ જણાવ્યું હતું કે ઇરશાદ વિરુદ્ધ રાત્રે જીપી એક્ટ ૧૨૨-સી મુજબ ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. સવારે ૧૧ વાગે લોકઅપમાં તેને ખેંચ આવતાં સ્મિમેર લઈ જવાયો હતો. ત્યાં તેની તબિયત સારી હતી. પડી જવાથી ઇરશાદના માથામાં ઇજા થવાથી ટાંકા આવ્યા હતા. તેની તબિયત સારી થતાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોર્ટે પોલીસ સ્ટેશનમાંથી જામીન આપવાનું કહેતાં તેને ફરીથી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનથી તેને જામીન આપ્યા હતા. ત્યાર બાદ તેને છોડી દેવાયો હતો. પછી શું થયું એ ખબર નથી. પોસ્ટમોર્ટમમાં તમામ બાબતોનો ઘટસ્ફોટ થઈ જશે.
Recent Comments