ભારતના બાર જ્યોતિલિંગના પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે વિવિધ સુવિધાઓ-આકર્ષણો ઉમેરાતા રહે છે. જેમાંના ભારત પ્રસાદમ યોજના,ગુજરાત ટુરીઝમ, સોમનાથ ટ્રસ્ટ દાતા સહિતના વિવિધ ચાર પ્રોજેકટોને ભારતના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી ૨૦મી ઓગષ્ટના સવારે ૧૦ વાગ્યે વર્ચ્યુઅલ સંબોધનથી લોકાપર્ણ કરશે.
જેમાં યાંત્રિક કેન્દ્ર ખાતે આવેલ પ્રાચીન સ્થાપત્ય મ્યુઝિયમ, અહલ્યાબાઈ માતોશ્રી સોમનાથ મંદિર ડેવલપમેન્ટ, ૪૫ કરોડના ખર્ચે સમુદ્ર તટે મુંબઈ મરીન ડ્રાઈવ જેવો સવા કિલોમીટર લાંબો વોક-વે અને સોમનાથ મંદિર પરિસરમાં રૂ. ૨૨ કરોડના ખર્ચે નિર્માણ થનારૂ માતા પાર્વતીજી મંદિરનું ભૂમિપૂજન સહિતના કાર્યક્રમ યોજાશે.
સોમનાથ યાત્રિક સુવિધા કેન્દ્ર ખાતે યોજાનાર આ કાર્યક્રમ સ્થળે સોમનાથ મંદિરના અતથી ઈતિ ૧૦૦ જેટલા ફોટોગ્રાફસ ડીસ્પ્લે કરવામા આવ્યા છે અને કદાચ લોકાપર્ણ સમયે સોમનાથ ટ્રસ્ટના વિકાસકાર્યો અને વિવિધ જાણકારી આપતી ખાસ ડોકયુમેન્ટરી ફીલ્મ પણ દર્શાવાય તેવી વકી છે.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણભાઈ લહેરી આ અંગેની તડામાર તૈયારી અંગે ખાસ સોમનાથ મુકામ રાખી કાર્યક્રમને સુંદર બનાવવા જહેમત કરી રહ્યા છે.
Recent Comments