સોમનાથ ક્ષેત્રના ઇતિહાસમાં પહેલી વખત ભારત અને ભારતીયતાને ઉજાગર કરતો પાંચ દિવસીય લોક સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં સમુદ્રકિનારે યોજાશે. આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ સંગીત નાટક અકાદમી નવી દિલ્હી દ્વારા આયોજિત અમૃત ધારા મહોત્સવમા આસામ, મણિપુર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ સહિતના રાજ્યોમાંથી આવનાર ૩૫૦ થી વધુ કલાકારો પરંપરાગત નૃત્ય અને ભક્તિમય સંગીતનીએ પ્રસ્તુતિ રજૂ કરશે.
આ અમૃતધારા ઉત્સવ સંદર્ભે જાણકારી આપતાં સંગીત નાટક અકાદમીના પ્રોગ્રામ ઓફિસર તેબા દેવીએ જણાવ્યું હતું કે, “ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં હેઠળની સ્વાયત સંસ્થા સંગીત નાટક એકેડમી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આયોજિત આ અમૃતસર સ્વર ધારા ઉત્સવ ૨૬ માર્ચથી ૩૦ માર્ચ સુધી યોજાશે.
જેમાં દેશના ખૂણે ખૂણેથી ૩૫૦થી વધુ કલાકારોના ૩૩ ગ્રુપ પોતાની લોકસંસ્કૃતિ પ્રદર્શિત કરશે. જેમાં ગાયન વાદન અને નૃત્યના ત્રિવેણી સંગમ દ્વારા ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલાસાધના કરાશે” પાંચ દિવસ સુધી સાંસ્કૃતિક જલસામાં પ્રતિદિન યોજાનારા કાર્યક્રમો ઉત્સવના પ્રારંભિક દિવસે એટલે કે આજે તા. ૨૬ માર્ચના રોજ મણિપુરના ભૂમેશ્વર સહિં અને તેમનું ગ્રુપ પુંગ ચોલોમ અને ઠોલ ચોલોમ નૃત્ય રજૂ કરશે. દેવાસના કાલૂરામ બામન્યા અને તેમનુ ગ્રુપ નિર્ગુણી ભજન, રાયબરેલીના શીલૂસિંહ રાજપૂત અને તેમનુ ગ્રુપ આલ્હા ગાયન, રામનગરમના શિવમધુ અને તેમનો સમૂહ પૂજા કુનિથા નૃત્ય, અમદાવાદના રેમા શ્રીકાંત અને તેમનુ ગ્રુપ ભરતનાટ્યમ્, હૈદરાબાદના અમૃતા શીલ કૂચીપુડી, ભૂવનેશ્વરનું રુદ્રાક્ષ ફાઉન્ડેશન ઓડિસી નૃત્ય રજૂ કરશે. અમૃત સ્વરધારા ઉત્સવના બીજા દિવસે તા. ૨૭ માર્ચના દિલ્હીના પકલકુરી ઉન્નીકૃષ્ણ અને તેમનું ગ્રુપ ચેંડા મેલમ વાદ્ય સહ નૃત્ય, રાયપુરના દુષ્યંત દ્વિવેદી અને તેમનુ ગ્રુપ પંડવાની લોકગાયન, ઉડ્ડીસાના વિભૂતિભૂષણ મોહંતા તથા લોકનાથ દાસ અને તેમનો સમૂહ મયુરભંજ છઉ, ઝારખંડના સુદીપ કુમાર કવિ અને તેમનુ ગ્રુપ સરાયકેલા છઉ નૃત્ય, ચૈન્નાઈના દિવ્યા શિવસુંદર ભારતનાટ્યમ્, કોચિનના હેમંત કુમાર અને તેમનો સમૂહ કથકલિ નૃત્ય અને ગાંધીનગરના નીતિન દવે અને તેમનું ગ્રુપ ડાંડિયા રાસ પ્રસ્તુત કરશે. ત્રીજા દિવસે તા. ૨૮ માર્ચના ઓડિસાના લક્ષ્મીપ્રિયા ગોટીપુઆ નૃત્ય કેન્દ્ર દ્વારા ગોટીપુઆ નૃત્ય, મણિપુરના ઈમ્ફાલના મેનકાદેવી અને જીનાદેવી દ્વારા મણિપુરી નૃત્ય, કોયમ્બતુરના કરૂણા સાગરી ભરતનાટ્યમ્, આસામના માઝુલીના ઉત્તર કમલાબાડી સત્ર ગાયન બાયન, ગૌહાટીના અંજલિ બોરબોરા બોરઠાકુર અને તેમનો સમૂહ સત્રિય લોકનૃત્ય, તામિલનાડુના કોજિકોડના શ્રીકાંત નટરાજન અને તેમનુ ગ્રુપ ભાગવત મેલા લોકનૃત્ય, ગોંડલના ચેતન જેઠવા અને તેમના ગ્રુપ દ્વારા ગરબા અને રાસની પ્રસ્તુતિ કરશે. અમૃત સ્વરધારા ઉત્સવના ચોથા દિવસે તા. ૨૯ માર્ચના મહારાષ્ટ્રના ગણેશ ચંદન શિવે અને તેમના સમૂહ દ્વારા પોવાડા લોકનૃત્ય, ઉત્તર પ્રદેશના મથુરાના વંદના શ્રી અને તેમનું ગ્રુપ દ્વારા મયુર રાસ, તેલંગણાના નાલગોંડાના ડી. રાજકુમાર પેરની તાંડવમ્ લોકનૃત્ય, વડોદરાના ઐશ્વર્યા વરિયાર અને તેમના ગ્રુપ દ્વારા મોહિનીઅટ્ટમ્, પચ્શિમ બંગાળના જાગરૂ મહતો અને તેમના સમૂહ દ્વારા પુરૂલિયા છઉ નૃત્ય અને અમદાવાદના સ્મિતા શાસ્ત્રી અને તેમના સમૂહ દ્વારા કૂચીપુડી નૃત્ય રજૂ કરવામાં આવશે. તા. ૩૦ માર્ચ, ૨૦૨૨ના રોજ યોજાનારા કાર્યક્રમો અમૃત ધારાના અંતિમ દિવસ તા. ૩૦ માર્ચના રોજ ઉત્તરાખંડના અલ્મોડાના પ્રકાશ બિષ્ટ અને તેમાન સમૂહ દ્વારા નંદા રજ્જત કૃતિ, તમિલનાડુના તંજાવુરના પી. રાજકુમાર અને તેમના ગ્રુપ દ્વારા મલિયાટ્ટમ્ નૃત્ય, મણિપુરના મેનકાદેવી અને જિનાદેવી મણિપુરી રાસલીલા, અમદાવાદની અનાર્ટ ડાન્સ કંપની દ્વારા કથ્થક નૃત્ય, કર્ણાટકના હોન્નાવુરના શ્રીધર હેગડે અને તેમના સમૂહ દ્વારા યક્ષગાન લોકનૃત્ય અને સૌરાષ્ટ્ર ચોરવાડના શ્રી શક્તિ ટિપ્પણી લોક નૃત્ય મંડળ દ્વારા ટિપ્પણી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે.
Recent Comments