રાજ્ય સરકાર દ્વારા એનએફએસએ હેઠળના કાર્ડ ધારકોને જન્માષ્ટમી તેમજ દિવાળી તહેવાર નિમિત્તે કાર્ડ દિઠ ૧-૧ લિટર ડબલ ફિલ્ટર્ડ સિંગતેલ માત્ર ૧૦૦ રૂપિયામાં આપવામાં આવશે. જેના પગલે ભરૂચ જિલ્લામાં એનએફએસએ અંતર્ગત આવતાં ૧.૬૨ લાખ કાર્ડધારકોને તેનો લાભ મળશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે, ચાલુ વર્ષે એનએફએસએ કાર્ડ ધારકોને જન્માષ્ટમી અને દિવાળીના તહેવારમાં ૧-૧ લિટર ડબલ ફિલ્ટર્ડ સિંગતેલ અપાશે. સરકાર દ્વારા ૧૯૭ રૂપિયામાં સિંગતેલની ખરીદી કરી ૯૭ રૂપિયાની સબસિડી સરકારે ભોગવી કાર્ડધારકોને માત્ર ૧૦૦ રૂપિયામાં એક લિટર તેલ આપવામાં આવશે.
જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ૧.૬૨ લાખ કાર્ડ ધારકોને આ યોજનામાં આવરી લેવાશે. સરકાર દ્વારા તહેવાર નિમિત્તે સિંગતેલની સાથે સાથે તુવેરદાળ આપવાનો પણ ર્નિણય લેવાયો છે. જેમાં એએવાય અને પીએચએચ કાર્ડ ધારકોને રાશનકાર્ડ દીઠ માત્ર ૫૦ રુપિયામાં ૧ કિલો તુવેરદાળ આપવામાં આવશે. સરકાર દ્વારા નજીકના દિવસોમાં જાહેરાત કરાતાં જ દરેક સસ્તા અનાજની દુકાનેથી કાર્ડ ધારકોને તેમનો પુરવઠો મળી રહેશે.
Recent Comments