જામનગરના શંકરટેકરી વિસ્તારમાં સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા ભરત કરશનભાઈ રાઠોડ ઉર્ફે મઢા નામનો યુવાન ગત તા.૨૬-૫-૨૦૧૭ના પોતાની રીક્ષા ચલાવીને શંકરટેકરી વિસ્તારમાંથી જતો હતો. વલ્લભનગર વાલ્મિકીવાસમાં વસવાટ કરતા સન્ની ઉર્ફે સેમ શામજીભાઈ મેઘજીભાઈ ઝાલા, કરણ મનસુખભાઈ ઉર્ફે સંજય દામજીભાઈ મકવાણા, જયદીપ ઉર્ફે જયુ બિપીનભાઈ પુરબીયા પઠાણ નામના ત્રણ શખસ બાઈકમાં ધસી આવ્યા હતા. આ શખસોએ ભરતની રીક્ષા આડે પોતાનું બાઈક રાખી તેને રોકાવ્યા પછી સન્ની ઉર્ફે સેમે છરી વડે હુમલો કરી ભરતના ગળા પર છરી ફેરવી દેતા લોહી નીંગળતી હાલતમાં રીક્ષામાંથી ઉતરેલા ભરતે જીવ બચાવવા માટે પોતાના ઘર તરફ દોટ મૂકી હતી તેની પાછળ કરણ તથા જયદીપ દોડ્યા હતા.
તે દરમિયાન દેકારો થવા લાગતા સન્ની, કરણ તથા જયદીપ પોતાના બાઈક પર ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ પરીવારને થઇ હતી, આથી પરીવારજનોએ લોહી લુહાણ થઇ ગયેલા ભરતને રીક્ષામાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં ત્રણેય હુમલાખોરના નામ આપ્યા પછી ભરતનું મૃત્યુ નિપજ્યું હતું. દોડી આવેલી પોલીસે માતા રાજીબેનનું નિવેદન નોંધતા તેણીએ જણાવ્યું હતું કે, તેમના પુત્ર ભરતને દિગ્વિજય પ્લોટમાં રહેતી મીરા વાલ્મિકી નામની વિધવા મહિલા સાથે સંબંધ હતો અને મીરાને ભરતના ઘરમાં બેસવું હતું.
પરંતુ રાજીબેને ના પાડતા નારાજ થયેલી મીરાએ બનાવના પંદરેક દિવસ પહેલા પોલીસમાં રાજીબેન સહિતના વ્યક્તિઓ સામે અરજી કરી હતી અને તેનું સમાધાન થયું હતું. તેથી મીરા સાથે ભરતના સંબંધની મીરાના ભાઈ સન્નીને જાણ થતા છરી વડે હુમલો કરી ભરતની હત્યા કરી હતી. આથી પોલીસે હત્યાનો ગુનો નોંધી સન્ની, કરણ તથા જયદીપની ધરપકડ કરી હતી. આ કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં એડીશનલ અને જાેઈન્ટ ડિસ્ટ્રીકટ જજ ચૌધરીએ આરોપી સન્ની ઉર્ફે સેમ ઝાલાને તક્સીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે.
જ્યારે બાકીના બે આરોપી કરણ અને જયદીપને શંકાનો લાભ આપી છોડી મૂક્યા છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી રોકાયા હતાં.જામનગરના શંકરટેકરી વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા થયેલી યુવાનની હત્યા કેસમાં અદાલતે એક આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. મૃતક યુવાનને એક વિધવા મહિલા સાથે આડોસંબંધ હતો અને તેનો ખાર રાખી આ મહિલાના ભાઈએ મૃતકને ગળામાં છરી મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.
















Recent Comments