સૌરાષ્ટ - કચ્છ

વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન હવેથી વીરપુર રેલવે સ્ટેશને થોભશે

વેરાવળ બાંદ્રા દૈનિક એક્સપ્રેસ ટ્રેનને વીરપુર સ્ટોપેજ મળતાં મુસાફર જનતામાં હરખ છલકાયો છે. આ ટ્રેનને સ્ટોપેજ આપવાની માગણી છેલ્લા ઘણા વર્ષોથી મુસાફરો કરી રહ્યા હતા. જગવિખ્યાત યાત્રાધામ વીરપુર આવતા યાત્રાળુઓ તેમજ સ્થાનિક લોકોની માંગને લઈને વેરાવળ બાંદ્રા ટ્રેન વીરપુર સ્ટેશન પર સ્ટોપ માટે રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટના નરેશભાઈ ચાંદ્વાણી તેમજ વીરપુરના અનેક અગ્રણીઓએ રેલ્વે વિભાગમાં રજૂઆતો કરી હતી ત્યારે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે પણ રેલ્વે મંત્રી સહિતનાઓને તેમજ લોકસભામાં રજૂઆત કરી હતી જેમને લઈને રેલ્વે મંત્રાલયના આદેશ મુજબ દૈનિક એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ તારીખ ૧૪ ઓક્ટોબરથી વિરપુર સ્ટેશન પર આપવામાં આવ્યું છે.

સાંસદ રમેશ ધડુકે ટ્રેનને લીલી ઝંડી આપી આગળ પ્રસ્થાન કરાવ્યું. વેરાવળ બાંદ્રા ટર્મિનસ ટ્રેન નં. ૧૯૨૧૮ વિરપુર સ્ટેશન પર આવીને ઉભી રહી હતી ત્યારે વીરપુરના અગ્રણીઓએ ઢોલ નગારા સાથે ટ્રેનનું ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ ટ્રેનનાં ડ્રાઇવરને મોં મીઠાં કરાવ્યા હતા. આ પ્રસંગે પશ્ચિમ રેલ્વેના ડી.આર.એમ મનોજ ગોયલ, ગોરધનભાઈ ધામેલીયા, જનકભાઈ ડોબરીયા,વેલજીભાઈ સરવૈયા, રમેશભાઈ ગઢિયા,અનિલભાઈ વઘાસીયા,ભરતભાઈ ગઢિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા,આગામી ૩૧ ઓક્ટોબરેજલારામ બાપાની ૨૨૩મી જન્મ જયંતી આવતી હોવાથી આ ટ્રેનના સ્ટોપેજને લઈને રેલ્વે મુસાફરો અને વિરપુર આવતા યાત્રાળુઓમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો.

Related Posts