આગામી તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અમરેલી જિલ્લામાં યોજાનાર રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના પૂર્વ આયોજનના ભાગરૂપે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, લીલીયા મોટા દ્વારા તા. ૧ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશનો મુખ્ય હેતુ કોલેજ કેમ્પસ, રમતગમતનું મેદાન, શૈક્ષણિક ભવનો, પીવાના પાણીની ટાંકીઓ સહિત સમગ્ર પરિસરને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવી રાજ્યકક્ષાના આ મહાપર્વ માટે સંપૂર્ણ રીતે સજ્જ કરવાનો છે.
ઝુંબેશના પ્રથમ તબક્કામાં કોલેજના વિવિધ વિભાગોમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેમ્પસમાંથી એકત્ર થયેલા કચરાનું યોગ્ય વર્ગીકરણ કરી જૈવિક કચરામાંથી સેન્દ્રીય ખાતર બનાવવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથે જ પ્લાસ્ટિક કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરી પ્લાસ્ટિક મુક્ત કેમ્પસના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે.
કોલેજના એન.સી.સી, એન.એસ.એસ. તથા ઇકો ક્લબના વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોના સક્રિય સહયોગથી સમગ્ર અભિયાનને ગતિ આપવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ કેમ્પસની નિયમિત સફાઈ, વૃક્ષોની જાળવણી અને પર્યાવરણ સંરક્ષણ સંબંધિત પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવામાં આવશે.
આ પ્રસંગે કોલેજ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકોને સ્વચ્છતા જાળવવા ભાવભરી અપીલ કરવામાં આવી છે. કચરો નિર્ધારિત સ્થળે જ નાખવો, પાન-માવાની પિચકારી મારી જાહેર સ્થળોને ગંદા ન કરવા તેમજ પોતાના કાર્યસ્થળ અને શૈક્ષણિક પરિસરની સ્વચ્છતા જાળવી રાખવા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે.
કોલેજ પરિવાર દ્વારા સૌને “સ્વચ્છ કોલેજ-સુંદર લીલીયા”ના સંકલ્પને સાકાર કરવા સક્રિય સહભાગી બનવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ કોલેજના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.


















Recent Comments