અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર એટલે આરોગ્યની સંભાળ લેતું તીર્થધામ. 

આમ તો એક પત્રકાર તરીકે મેં બિપીનભાઈ પાંધીએ તો લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર વિશે અનેક વખત અખબારી લેખ લખેલ છે. તેના માનવીય અભિગમને અવારનવાર બિરદાવ્યા પણ છે . અહીં દર્દીઓને નારાયણનું સ્વરૂપ સમજીને તમામ આરોગ્યલક્ષી સારવાર નિશુલ્ક ધોરણે પ્રદાન કરવામાં આવે છે. હજુ બે દિવસ પહેલાં જ જાતઅનુભવ પણ કર્યો કે ખરેખર આવી સુવિધા કોર્પોરેટ હોસ્પિટલોમાં મળતી હોય તેવી આરોગ્યલક્ષી તપાસ દવા લેબોરેટરી પરીક્ષણ, ટ્રીટમેન્ટ સમેત તમામ સુવિધાઓ વળી ખૂબ નમ્ર ભાવે દર્દીઓની સંભાળ અને એ પણ સંપૂર્ણ નિશુલ્ક..! આ જાત અનુભવ થયો.

મને ડો. વાણીયા સાહેબે મારું આરોગ્ય પરીક્ષણ અને તપાસ બાદ બાટલા ચડાવવા જરૂરી છે તેથી ઉપર બીજા માળે જઈને આ સારવાર લેવાનું કહ્યું. ઉપર બીજા માળે એવાં ઘણાં દર્દીઓની સારવાર થઈ રહી હતી અને વળી એ પણ ખૂબ નમ્ર અને વિવેકી કર્મચારીગણ દ્વારા. લગભગ  ચારેક કલાક હોસ્પિટલમાં સારવાર લીધી તે દરમિયાન રાજુભાઈ બોરીસાગર પણ આ વોર્ડમાં આવી ચડ્યા. અને એ પણ આ સંસ્થાની તકેદારી રાખે છે. તેનું પ્રત્યક્ષ પ્રમાણ જ ગણી શકાય. દર્દીને કેમ છે? કંઈ સમસ્યા તો નથી? વગેરે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરતાં જોવા મળેલ. આમ ગણીએ તો દર્દીને સારવાર સાથે પ્રેમ, ઉષ્મા અને તમે જલ્દી સાજા થઈ જશો ચિંતા કરતાં નહીં એવું કહેવામાં આવે તો પણ દર્દીની માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.

આશાનું એક કિરણ પણ રોશની માટે પર્યાપ્ત હોય છે ત્યારે અહીં તો આ આરોગ્ય મંદિરમાં સ્નેહનો સંપૂર્ણ દરિયો વહે છે. આ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. પ્રકાશ કટારીયા, ડો. વાણીયા સાહેબ સમેત તમામ મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફ દર્દીઓની પૂરી કાળજી અને સંભાળ લેતાં જોવા મળ્યાં એનો પ્રત્યક્ષ સ્વાનુભવ થયો ત્યારે એક વાતનો અહેસાસ પણ થયો કે દર્દીઓના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે આ સંસ્થા કેટલી સતર્ક છે. અને આ સંસ્થાના પ્રમુખ હરેશભાઈ મહેતા, મંત્રી દિવ્યકાંતભાઇ સૂચક તથા તમામ ટ્રસ્ટીગણ સંપૂર્ણ વિનય અને વિવેક સાથે દર્દીએ નારાયણનું સ્વરૂપ છે એમ સમજી આ સંસ્થાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. પૂ. મોરારી બાપુનાં આશીર્વાદથી આ સંસ્થા સતત પ્રગતિનાં શિખરો સર કરતી જોવા મળે છે.

આમ ગણીએ તો આ ઈશ્ર્વરને ભજવા જેવું જ માનવસેવાનું કાર્ય છે. આ સંસ્થાની મુલાકાત એક મુલાકાતી તરીકે પણ લેવા જેવી તો ખરી. આ સંસ્થામાં આપેલું અનુદાન સો ટકા દર્દીઓની ઉત્તમોત્તમ સારવાર અર્થે જ વપરાય છે એ વાતનું પણ અહીં પૂરતું ધ્યાન આપવામાં આવે છે. જો કે આવી  સુવિધા સભર હોસ્પિટલને નિશુલ્ક ચલાવવી એ ઘણું કપરું કામ છે. પરંતુ તમામની શુભ ભાવના તથા ઈશ્ર્વર કૃપાથી આ સેવા  કાર્ય ચાલી રહ્યું છે ત્યારે એક વાતનો સ્વીકાર પણ કરવો પડે કે શુધ્ધ ભાવથી ઉપાડેલું કોઈ પણ કાર્યને સતત ગતિશીલ રાખવું એ પણ કુદરતની અનન્ય કૃપા જ કહેવાય.

Related Posts