રાષ્ટ્રીય

ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા મુસ્લિમોને ભારતમાં સ્થાયી થવાનો કોઈ અધિકાર નથી : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું

કેન્દ્ર સરકાર રોહિંગ્યા મુસલમાનો અંગે પોતાના અગાઉના વલણ પર અડગ છે. સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા મુસ્લિમોને ભારતમાં સ્થાયી થવાનો કોઈ અધિકાર નથી. સરકારનું કહેવું છે કે ભારતમાં રહેતા રોહિંગ્યાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે કોર્ટને એમ પણ કહ્યું કે રોહિંગ્યાઓના કારણે સુરક્ષાને અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં તેમને દેશમાં રહેવાનો અધિકાર નથી. ઓક્ટોબર ૨૦૧૭માં સોગંદનામું દાખલ કરીને કેન્દ્ર સરકારે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં રોહિંગ્યા મુસ્લિમો વિરુદ્ધ પોતાની દલીલનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રએ કહ્યું કે આ સરકાર અને સંસદની નીતિ વિષયક બાબત છે. આવી સ્થિતિમાં, ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા લોકોને શરણાર્થીનો દરજ્જાે આપવા માટે એક અલગ શ્રેણી બનાવવા માટે ન્યાયતંત્ર સંસદ અને કાર્યપાલિકાના કાયદાકીય અને નીતિવિષયક ક્ષેત્રમાં પ્રવેશી શકે નહીં.

સરકારનું કહેવું છે કે ભારતીય બંધારણની કલમ ૨૧ હેઠળ વિદેશી નાગરિકને જીવન અને સ્વતંત્રતાનો અધિકાર છે અને તેમને દેશમાં રહેવાનો અને સ્થાયી થવાનો અધિકાર નથી. સરકારે કહ્યું કે આ અધિકાર ફક્ત ભારતીય નાગરિકોને જ ઉપલબ્ધ છે. સરકારે કહ્યું કે વિદેશીઓનો સ્થાયી થવાનો કે રહેવાનો અધિકાર એ નીતિ વિષયક બાબત છે. કેન્દ્રએ કોર્ટને કહ્યું કે સરકાર રોહિંગ્યા મુસ્લિમોના મામલામાં સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે કે રોહિંગ્યાઓને ભારતમાં રહેવા કે સ્થાયી થવાની મંજૂરી આપી શકાય નહીં. કેન્દ્ર સરકારનું કહેવું છે કે કેટલાક રોહિંગ્યા મુસ્લિમો ેંદ્ગૐઇઝ્ર દ્વારા શરણાર્થી દરજ્જાનો દાવો કરી રહ્યા છે. પરંતુ ભારત ેંદ્ગૐઇઝ્રના શરણાર્થી કાર્ડને માન્યતા આપતું નથી. આથી તેમને શરણાર્થીનો દરજ્જાે આપી શકાય નહીં. સરકારનું કહેવું છે કે પાડોશી દેશોમાંથી આવતા લોકોના કારણે ભારત પહેલાથી જ ગેરકાયદેસર સ્થળાંતરનો સામનો કરી રહ્યું છે. જેના કારણે પશ્ચિમ બંગાળ અને આસામની વસ્તી વધી રહી છે. સરકાર અટકાયત કરેલા રોહિંગ્યાઓને મુક્ત કરવાની અરજીનો જવાબ આપી રહી હતી. જેની અરજી અરજદાર પ્રિયલી સુર દ્વારા કોર્ટમાં કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે તે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે ફોરેનર્સ એક્ટ મુજબ કાર્યવાહી કરશે. તમને જણાવી દઈએ કે રોહિંગ્યા મુસ્લિમોના મુદ્દે દેશમાં ઘણી વખત હંગામો થયો છે. ઘણા લોકો તેમને દેશમાંથી હાંકી કાઢવાનું સમર્થન કરે છે. આ મુદ્દે રાજકારણ પણ થયું છે.

Related Posts