રાજ્યમાં છેલ્લા ઘણા દિવસ થી વરસી રહેલા સાવર્ત્રિક વરસાદના પરિણામે ૪૮ જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા જ્યારે નવ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. સતત વર્ષી રહેલા વરસાદ ના કારણે દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૫.૫૮ ટકા જળ સંગ્રહ થયો છે ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૭%થી વધુ જળ સંગ્રહ થયો છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૯૨,૦૪૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૭.૪૮ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૦૯,૬૬૩ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫.૨૮ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. અવિરત વરસાદના પરિણામે સૌથી વધુ ઉકાઈમાં ૭૯,૨૭૪ ક્યુસેક જ્યારે સરદાર સરોવર યોજનામાં ૭૨,૩૮૨ ક્યુસેક, દમણગંગામાં ૪૨,૦૮૮ ક્યુસેક, રાવલમાં ૧૩,૧૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
આ સિવાય રાજ્યના ૩૧ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૮ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૩૯ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૫.૫૮ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૨.૨૩ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૫૨.૧૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૪૪.૦૧ ટકા, તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૭.૮૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.
વલસાડનો મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ છલોછલ ભરાયો છે. ડેમની સપાટી ૭૩.૮૦ મીટરે પહોંચી છે. મધુબન ડેમમાં પાણીની આવક ૫૫,૮૫૪ ક્યુસેક છે. ડેમમાંથી ૪૮,૩૦૭ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. મધુબન ડેમના ૮ દરવાજા ૧.૪ મીટર સુધી ખોલાયા છે. દમણગંગાના ગામ પાસે રહેતા લોકોને એલર્ટ કરાયા છે. લોકોને નદીના પટમાં ન જવાની અપીલ કરાઈ છે. વલસાડની ઓરંગા નદીનો બ્રિજ છે તેની પરથી અવર જવર માટે બંધ કરાયો છે. ઓરંગા નદી હાલ ભયજનક સપાટીએ છે જ્યારે દમણગંગા નદીમાં પણ ભારે પૂર જેવી સ્થિતિ છે.
ધરમપુર અને કપરાડાના ૪૦થી વધુ રસ્તાઓ બંધ થઇ ગયા છે. નવસારીમાં ભારે વરસાદના પગલે પૂર્ણા નદીનું જળસ્તર વધ્યુ છે. સુપા – કુરેલ ગામને જાેડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. લો – લેવલ બ્રિજ સીઝનમાં છઠ્ઠી વખત ગરકાવ થયો છે. તાપી અને ડાંગમાં ભારે વરસાદના કારણે પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે. નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રસ્તો બંધ થતા આસપાસના ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જાે કે બ્રિજ પર પાણી ફરી વળતા વાહનોની અવરજવર બંધ થઈ છે.
ડાંગના ગિરિમથક સાપુતારામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. સાપુતારામાં વરસાદના કારણે અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ચીખલદા, સુસરદા, આંબાપાડા લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. તેમજ ગીરાધોધ પણ રૌદ્ર સ્વરુપમાં જાેવા મળ્યો છે.
Recent Comments