રાજ્યને આગામી ૦૫ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃતવમાં મિશન મોડમાં પ્રયાસો થઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતી દ્વારા બાગાયત સહિતની અનેક મૂલ્યવર્ધક ખેતી થઈ શકે છે. અમરેલી જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેત પદ્ધતિથી પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે.
ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત શરુ રાખી નાગરિક પ્રથમના અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરુપે સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહ-૨૦૨૪ની ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી છે. ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરુપે સમગ્ર અમરેલી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ‘પ્રાકૃતિક કૃષિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
બગસરા તાલુકાના બાલાપુર મુકામે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ શિબિરમાં, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિષયક માહિતી અને માર્ગદર્શન આપવામાં આપવામાં આવ્યું હતુ. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિના ફાયદા, ઉત્પાદનમાં ઉત્તરોત્તર વધારો, લાભદાયક ખેત પદ્ધતિ, જમીનની ગુણવત્તામાં સુધારો અને ફળદ્રુપતામાં વધારો, વિવિધ પાક પદ્ધતિ, ઘન જીવામૃતનું મહત્વ વગેરે વિષયક વિસ્તૃત જાણકારીથી ખેડૂતો વાકેફ થયા હતા. પ્રાકૃતિક કૃષિ વિષયક વિગતો અને માર્ગદર્શન માટે પ્રાકૃતિક કૃષિ ફિલ્ડ પરના કર્મયોગીશ્રીઓએ જહેમત ઉઠાવી હતી. પ્રાકૃતિક કૃષિ વિષયક માર્ગદર્શન શિબિરનો લાભ ખેડૂતોએ લીધો હતો. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ એ આધુનિક સમયની જરુરિયાત છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ પહેલા તા.૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તરીકે ધૂરા સંભાળી હતી. મુખ્યમંત્રી થી વડાપ્રધાન પદ સુધીની તેમની સફરમાં ગુજરાતનો વિકાસ કેન્દ્ર સ્થાને રહ્યો છે. રાજ્યની ૨૩ વર્ષની ‘વણથંભી વિકાસયાત્રા’ વિશે જનજન સુધી જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઓકટોબર-૨૦૨૪ તા.૦૭ થી તા.૧૫ સુધી સમગ્ર રાજ્યવ્યાપી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
Recent Comments