ભાવનગર

ખેડૂતપુત્રીની ઉડાન: શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ – રાળગોનની વિદ્યાર્થીની એ શાળા અને ગામનું નામ કર્યું ઉજ્જવળ…

શ્રેષ્ઠતા માત્ર શહેરી સુવિધાઓમાં જ નથી ઉગતી; ક્યારેક તે ખેતરની માટીમાં પણ ખીલી ઉઠે છે. આવા જ એક જીવંત દાખલાનું નામ છે “કામળીયા અજુબેન આપાભાઈ”,  જે શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ – રાળગોનની ધોરણ 10ની વિદ્યાર્થીની છે. ખેડૂત પરિવારની દીકરી હોવા છતાં અજુબેનનો અભ્યાસ પ્રત્યેનો ઝુકાવ અને સંકલ્પ અસાધારણ રહ્યો. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અને માતાપિતાની અનંત મહેનત સાથે અજુબેને સતત શ્રેષ્ઠતાની દિશામાં પગલા ભર્યા. ખેતરની કામગીરીની સાથે અભ્યાસ કરતી અજુબેનનું જીવન અથાગ મહેનતથી ભરેલું હતું, તેણે ક્યારેય પોતાનો રસ્તો છોડ્યો નહિ.

વર્ષ -2025ના ધોરણ 10ના પરિણામમાં અજુબેને 99.81 PR પ્રાપ્ત કરી સમગ્ર તાલુકામાં શાળા અને પરિવારનું નામ ગૌરવમય બનાવ્યું છે. શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ માટે આ માત્ર પરિણામ નહિ, પરંતુ શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા છે.

શાળાના આચાર્યશ્રીએ જણાવ્યું કે, “અજુબેન જેવા વિદ્યાર્થીઓ અમારું ગૌરવ છે. આ પરિણામ ખેડૂત પુત્રીઓ અને પુત્રો માટે નવી દિશા નિર્ધારિત કરશે.” સાથે – સાથે આ શાળામા ધોરણ 10 મા અભ્યાસ કરતા 186 વિદ્યાર્થી માંથી 186 વિદ્યાર્થીઓ પાસ થઇ શાળાનું 100% પરિણામ સાબિત કર્યું છે, તેમાં પણ 27 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જે અભૂતપૂર્વ સિદ્ધિ ગણાવી શકાય… 

આજના યુગમાં અજુબેન જેવી દિકરીઓ સાબિત કરી રહી છે કે સપનાઓ માટે ન કશું અવરોધ છે ન મર્યાદા — માત્ર સંકલ્પ જોઈએ.

Related Posts