ગુજરાત

વડોદરામાં દરજીપુરાના ગુમ થયેલા યુવકની મહીસાગર નદીમાંથી ગાડી અને કાલોલ કેનાલમાંથી મૃતદેહ મળ્યો

ધંધાની હરિફાઇમાં આ કૃત્યને અંજામ અપાયાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે

વડોદરાના દરજીપુરામાંથી ગયા અઠવાડિયે ગુમ થયેલા યુવક દિપેનનો મૃતદેહ કાલોલ ખાતે કેનાલમાંથી મળી આવતા તેની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, હરણી નજીક દરજીપુરા ખાતે રહેતા ૨૭ વર્ષીય દીપેન પટેલ સાતમી મે એ રાત્રે સાસરીમાં જવા માટે કાર લઈ નીકળ્યો હતો અને ત્યારબાદ તેનો પત્તો લાગ્યો ન હતો. દીપેન ગુમ થયો હોવાની ફરિયાદ તેના પિતાએ હરણી પોલીસ સ્ટેશને નોંધાવતા તપાસ કરવામાં આવી હતી. શનિવારે (૧૦મી મે) રાત્રે અનગઢ પાસે મહીસાગર નદીમાંથી દીપેનની કાર મળી આવી હતી. જેમાં લોહીના નિશાન હતા. જેથી દીપેનની હત્યા થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. દીપેનની કાર ગોલ્ડન ચોકડી ટોલનાકાથી હાલોલ તરફ જતી નજરે પડતાં વડોદરા શહેર પોલીસની જુદી જુદી ટીમો સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરી હતી. આ દરમિયાન કાલોલ ખાતે કેનાલમાંથી દીપેનનો મૃતદેહ મળી આવતા તેની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ બાબતે શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે દીપેનની કોલ ડીટેલ્સ પણ કઢાવવામાં આવી છે. જેથી ટૂંક સમયમાં જ હત્યા નો ભેદ ખુલશે.

Related Posts