ગુજરાત

કેવડિયા: PM મોદીએ એકતા નગરમાં સુવિધા માટે 25 નવી ઈ-બસોનું કર્યું લોકાર્પણ, મફત મુસાફરી કરી શકશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. તેઓ આવતીકાલે 31 ઑક્ટોબરે સરદાર વલ્લભ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી સમારોહમાં સહભાગી થશે. જોકે, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અને ખરાબ હવામાનના કારણે તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી સ્ટેચ્યુ ઑફ યુનિટી, કેવડિયા સુધી બાય રોડ પહોંચ્યા છે.વડાપ્રધાન મોદી વડોદરાથી બાય રોડ મારફતે કેવડિયા પહોંચ્યા છે. જ્યાં તેમણે એકતા નગરમાં ઈ-બસોને લીલી ઝંડી બતાવી. વડાપ્રધાનના હસ્તે રૂ.30 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી 25 નવી ઈ-બસોનું લોકાર્પણ કરાયું. આ સાથે એકતા નગરમાં હવે કુલ 55 ઈ-બસો પ્રવાસીઓને મફત મુસાફરી સેવા આપશે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઠીક 4:00 વાગે વડોદરા ઍરપોર્ટ પર પધારવાના હતા અને ત્યાંથી હેલિકોપ્ટર મારફત સ્ટેચ્યુ ઑફ યુનિટી પહોંચવાના હતા. પરંતુ, સતત વરસતા વરસાદ અને ખરાબ હવામાનને લીધે તેમણે હવે રોડ માર્ગે જવાનું નક્કી કર્યું છે.પીએમ મોદી વડોદરા ઍરપોર્ટથી ગોલ્ડન ચોકડી, કપુરાઈ ચોકડી, ડભોઈ થઈને એકતા નગર ખાતે પહોંચવાના છે. વડાપ્રધાનના આ બાય રોડ પ્રવાસના કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા સહિતના વિસ્તારોમાં સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હવામાનના વિઘ્નને કારણે તેમના કાર્યક્રમના પરિવહનમાં ફેરફાર થવાથી સુરક્ષા અને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.આ પહેલીવાર નથી જ્યારે વડાપ્રધાન મોદીને ખરાબ હવામાનને કારણે રોડ માર્ગે મુસાફરી કરવી પડી હોય. વર્ષ 2017માં નર્મદા ડેમના લોકાર્પણ સમયે પણ વરસાદ વિઘ્ન બન્યો હતો, જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડોદરાથી સીધા બાય રોડ સ્ટેચ્યુ ઑફ યુનિટી આવવાની નોબત આવી હતી. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ પણ 26 ફેબ્રુઆરી 2025એ ગુજરાત આવ્યા હતા, ત્યારે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામીના કારણે તેમને પણ વડોદરાથી બાય રોડ કેવડિયા આવવું પડ્યું હતું.વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ એકતા દિવસ પરેડ થશે. પરેડમાં વિવિધ રાજ્ય પોલીસ દળો સાથે BSF, CRPF, CISF, ITBP અને SSBની કન્ટીજન્ટ સામેલ રહેશે. જેમાં આ વર્ષે મુખ્ય આકર્ષણોમાં રામપુર શિકારી શ્વાનો અને મુધોલ શિકારી શ્વાનો જેવા ભારતીય જાતિના શ્વાનનો સમાવેશ કરતી BSF માર્ચિંગ કન્ટીજન્ટ, ગુજરાત પોલીસના ઘોડાની કન્ટીજન્ટ, આસામ પોલીસનો મોટરસાયકલ ડેરડેવિલ શૉ અને BSFનો કેમલ કન્ટીજન્ટ અને કેમલ માઉન્ટેડ બેન્ડનો સમાવેશ થાય છે.પરેડમાં CRPFના પાંચ શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતાઓ અને ઝારખંડમાં નક્સલ વિરોધી કામગીરી અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં અસાધારણ હિંમત દર્શાવનારા BSFના સોળ શૌર્ય ચંદ્રક વિજેતાઓનું પણ સન્માન કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર દરમિયાન BSFના જવાનોને તેમની બહાદુરી માટે પણ સન્માનિત કરવામાં આવશે.

આ વર્ષના રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં NSG, NDRF, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પુડુચેરીના દસ ટેબ્લો રજૂ કરાશે, જે ‘વિવિધતામાં એકતા’ થીમ દર્શાવે છે. 900 કલાકારો દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને વિવિધતાનું પ્રતિનિધિત્વ કરતા ભારતના શાસ્ત્રીય નૃત્યો રજૂ કરશે. આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે રાષ્ટ્ર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે.વડાપ્રધાન આરંભ 7.0 ના સમાપન પર 100મા ફાઉન્ડેશન કોર્ષના અધિકારી તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આરંભની 7મી આવૃત્તિ “શાસનની પુનઃકલ્પના” થીમ પર યોજાઈ રહી છે. 100મા ફાઉન્ડેશન કોર્ષમાં ભારતની 16 સિવિલ સેવાઓ અને ભૂટાનની 3 સિવિલ સેવાઓના 660 ઓફિસર તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે.

Related Posts