ગુજરાત

સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં યોજાયો ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ; શિવ આરાધનાના ગીતો સાથે શિવભક્તિના રંગે રંગાયા પ્રેક્ષકો

સોમનાથ સ્વાભિમાન પર્વના પ્રથમ દિવસે સોમનાથ
મહાદેવ મંદિર પરિસરમાં ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રવક્તા મંત્રી સર્વશ્રી જીતુભાઈ વાઘાણી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા
અને શ્રી કૌશિક વેકરિયાસહિતના મહાનુભાવો જોડાયા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો શ્રી કિર્તીદાન ગઢવી, શ્રી જીગરદાન ગઢવી અને શ્રી ઉમેશ બારોટે સોમનાથ મહાદેવની આરાધના
અને ભજનો સાથે આપણી સંસ્કૃતિ, ધરોહર અને સનાતન ધર્મને સંગીતના સૂરોના તાંતણે બાંધી અહોભાવ સાથે શિવ ભક્તિમાં તરબોળ કરતા ગીતોની
રમઝટ બોલાવી હતી. ઉપસ્થિત પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની શિવ ભક્તિમાં લીન બન્યા હતા અને સંગીતમાં ઝૂમ્યા હતા. પ્રેક્ષકોએ પણ આત્મીયતાથી આ
કાર્યક્રમ સાથે જોડાઈ શિવ ભક્તિના અનેક ગીતોની સાથે તાળીઓ સાથે કલાકારોના સૂરમાં સૂર પુરાવ્યો હતો. સાંઈરામ દવેએ સાહિત્યની પ્રસ્તુતિ સાથે
સોમનાથ મહાદેવની સ્થાપના, વિદેશી આક્રમણો અને આપણા યોદ્ધાઓ તથા આજે પણ અડીખમ આ સોમનાથ મંદિર તથા આપણા ઐતિહાસિક
ધરોહર વિશે વાત કરી હતી.

કર્ણપ્રિય ગીત સંગીત, રોશનીથી દીપી ઊઠેલું મંદિર પરિસર અને નીરખી નિરખીને પણ મન ન ભરાય એવું અલૌકિક સોમનાથ જ્યોર્તિલિંગનું દેવાલય,
આ ત્રિવેણી સંગમથી જાણે દિવ્ય વાતાવરણનું સર્જન થયું હતું. કલાકારોએ શિવ ભક્તિના ગીતોની સાથે ગરબાની પણ રમઝટ બોલાવી હતી.

આ પ્રસંગે સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ, પૂર્વ સાસંદશ્રી મોહનભાઈ કુંડારીયા, સચિવશ્રીઓ આલોક પાંડે, શ્રી ટી.
નાગરાજન, શ્રી દિલીપ રાણા, સોમનાથ કલેક્ટરશ્રી એન.વી. ઉપાધ્યાય સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts