અમરેલી

રાજ્યકક્ષાની સ્વાંતત્ર્ય દિવસની ઉજવણી માટે અમરેલી સજ્જ, રાજ્યકક્ષાની ઉજવણી ભવ્ય બનાવવા ઉર્જા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાના દિશાનિર્દેશ

રાજ્યકક્ષાની ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અનુસંધાને અમરેલી જિલ્લા સેવાસદન ખાતે ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને સાંસદશ્રી ભરતભાઈ સુતરિયાની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. ૧૫મી ઓગસ્ટે અમરેલી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના મેદાનમાં રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે.

બેઠકમાં રાજ્યમંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ભવ્ય, સાંસ્કૃતિક અને યાદગાર બનાવવા માટે વિવિધ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી સંબંધિત વિભાગોને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા.

આ તકે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્યકક્ષાની ઉજવણી માટે ચાલી રહેલી પૂર્વ તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી. વિવિધ કાર્યક્રમોની વ્યવસ્થા, સુરક્ષા, સ્વચ્છતા, ટ્રાફિક, મહેમાનોના આવકાર સહિતની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હોવાનું જણાવાયું હતું.

રાજ્યમંત્રીશ્રીએ અમરેલીની આગવી ઓળખ અને સાંસ્કૃતિક વૈભવ રાજ્યફલક પર ઉજાગર થાય તે રીતે સમગ્ર શહેરને સુશોભિત કરવા સૂચના આપી હતી. શહેરના મુખ્ય માર્ગો, ચોક-ચોરાહા તેમજ મહત્વના સ્થળોએ આકર્ષક થીમ આધારિત ડેકોરેશન અને રોશની  કરવામાં આવે તેમજ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રગટે તે પ્રકારનું વાતાવરણ સર્જવા ભાર મૂક્યો હતો.

જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે તા. ૧૪ ઓગસ્ટના રોજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અમરેલીની નૂતન શાળાના મેદાન ખાતે ‘એટ હોમ’ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાનમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્વે અમરેલી જિલ્લાની વિકાસયાત્રાને વધુ વેગ આપતા કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો પણ યોજાશે.

સાંસ્કૃતિક કાર્યક્રમના સમાપન બાદ રાત્રિના સમયે લોકસંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાને સમર્પિત ‘રંગ કસુંબલ’ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકપ્રિય લોકગાયક સહિત જાણીતા કલાકારો દેશભક્તિના ગીતો, લોકસંગીત અને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને જીવંત કરતી કૃતિઓની રજૂઆત કરશે.

બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્યશ્રી આશિષભાઈ અકબરી, અગ્રણીઓ સર્વશ્રી પી.પી.સોજિત્રા,  અતુલભાઈ કાનાણી, શ્રી મયૂર ભાઈ માંજરીયા, શ્રી રાજુભાઈ ભુતૈયા, શ્રી મેહુલભાઈ ધોરાજીયા,  શ્રી મધુભાઈ હરખાણી, શ્રી વિજયભાઈ ચોટલીયા, શ્રી દિવ્યેશભાઈ વેકરીયા, શ્રી ભાવેશભાઈ ભાલિયા, શ્રી સંદિપભાઈ માંગરોળીયાએ શહેર વતી જરૂરી સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, નાયબ વનસંરક્ષકશ્રી ગીર પૂર્વ, વિકાસ યાદવ, સૂપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેકટરશ્રી હર્ષિતા ગોયલ, અમરેલી પ્રાંત અધિકારીશ્રી નાકિયા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts