આગામી તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અમરેલી ખાતે યોજાનાર રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના પૂર્વ આયોજનના ભાગરૂપે અમરેલી નગરપાલિકા દ્વારા તા. ૧ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન શહેરવ્યાપી વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશનો મુખ્ય હેતુ શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, સરકારી કચેરીઓ, બજાર વિસ્તારો તેમજ અન્ય મહત્વના સ્થળોને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવી રાજ્યકક્ષાના કાર્યક્રમ માટે સમગ્ર શહેરને સંપૂર્ણ રીતે તૈયાર કરવાનો છે.
જે અન્વયે આજરોજ અમરેલી નગરપાલિકા દ્વારા બસ સ્ટેશન તથા રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરી સઘન સફાઈ કામગીરી કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન જાહેર સ્થળોને કચરામુક્ત બનાવવામાં આવ્યા હતા તેમજ માર્ગો અને આસપાસના વિસ્તારોની વ્યવસ્થિત સફાઈ કરી શહેરના સૌંદર્યમાં વધારો થાય તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.
નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની વિશેષ સ્વચ્છતા ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીને અનુલક્ષીને શહેરના તમામ જાહેર સ્થળો સ્વચ્છ, સુવ્યવસ્થિત અને આકર્ષક બને તે માટે આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે.
અમરેલી નગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ પોતાના ઘર, વેપાર-ધંધાના સ્થળો તેમજ જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવી રાખે, કચરો જાહેરમાં ન ફેંકે તેમજ સ્વચ્છતા જાળવવામાં નગરપાલિકાને સહયોગ આપે. સૌના સહભાગથી “સ્વચ્છ અમરેલી -સુંદર અમરેલી”ના સંકલ્પને સાકાર કરવા નગરજનોને આગળ આવવા અમરેલી નગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


















Recent Comments