અમરેલી

અમરેલી નગરપાલિકા ટીમ દ્વારા શહેરમાં સેન્ટર પોઈન્ટ સર્કલ, ઓમ નગર, લાઠી રોડ સહિતના જાહેર રોડ રસ્તા અને વિવિધ સ્થળો પર સ્વચ્છતા ઝુંબેશ

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં એક વિશેષ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત અમરેલી શહેરના મુખ્ય કેન્દ્ર સમાન સેન્ટર પોઈન્ટ સર્કલ વિસ્તાર, ઓમ નગર, તેમજ લાઠી રોડ સહિતના જાહેર માર્ગો અને વિવિધ જાહેર સ્થળો પર સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે, કે તા. ૧૭ સપ્ટેમ્બર થી તા. ૧૭ ઓક્ટોબર સુધી એક માસ દરમિયાન અમરેલી જિલ્લામાં તમામ તાલુકામાં અને શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે સરકારના વિવિધ વિભાગોની જિલ્લા કચેરીઓમાં પણ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાશે.

નગરપાલિકા ટીમ દ્વારા રસ્તાઓ પરથી કચરો હટાવી, ઝાડુ લગાવી અને સફાઈ પ્રવૃત્તિઓ કરીને શ્રમદાન કરવામાં આવ્યુ હતુ. સ્વચ્છતા એ માત્ર દેખાવ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે સીધી રીતે જાહેર આરોગ્ય સાથે જોડાયેલી અનિવાર્ય બાબત છે. જ્યારે જાહેર રસ્તાઓ, સોસાયટીઓ અને તળાવો સ્વચ્છ રહે છે, ત્યારે મચ્છરજન્ય કે પાણીજન્ય રોગચાળો ફેલાવવાનો ભય ધરમૂળથી ઘટી જાય છે. શુદ્ધ અને કચરામુક્ત વાતાવરણ નાગરિકોને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આથી જ, જાહેર આરોગ્યના સુખાકારી માટે અમરેલી નગરપાલિકા દ્વારા નાગરિકોને પણ પોતાના ઘરની આસપાસ સફાઈ રાખવા અને આ સુંદર અભિયાનમાં કાયમી સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

આ સ્વચ્છતા ઝુંબેશમાં અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, ચીફ ઓફિસર શ્રી વિનોદ રાઠોડ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ પ્રત્યક્ષ રીતે જોડાયા હતા. તેમની સાથે નગરપાલિકાની સમગ્ર ટીમ, સમર્પિત સ્વચ્છતા ટીમ, અન્ય કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનોએ પણ સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું.

Related Posts