ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા તેમજ ગ્રામજનોને સ્થાનિક સ્તરે જ સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુસર વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે કુંકાવાવ તાલુકાના તાલાળી ખાતે ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદશ્રી ભરતભાઈ સુતરિયાના હસ્તે આશરે રૂ. ૧૮ લાખના ખર્ચે નિર્મિત ગ્રામ સચિવાલયના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નવા પંચાયત ભવનના નિર્માણથી તાલાળી ગામના ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ તથા પંચાયતલક્ષી કામગીરીનો લાભ વધુ સુવિધાસભર વાતાવરણમાં મળી શકશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ગ્રામ સચિવાલય ગ્રામજનો અને વહીવટી તંત્ર વચ્ચેના સંકલનને વધુ સુગમ બનાવવામાં મહત્વપૂર્ણ બની રહેશે.
આ પ્રસંગે ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરી સરપંચશ્રી તેમજ ગ્રામજનોને નવા ભવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે પણ જણાવ્યું હતું.
લોકાર્પણ કાર્યક્રમ બાદ ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ પંચાયત ખાતે ગ્રામજનો સાથે સંવાદ કરી તેમની વિવિધ રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતા. ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલી બાબતો અંગે સંબંધિત તંત્રને જરૂરી કાર્યવાહી કરી પ્રશ્નોના સમયબદ્ધ નિવારણ માટે દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સ્થાનિક આગેવાનો, પંચાયતના હોદ્દેદારો, અધિકારીશ્રીઓ-કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવા ગ્રામ સચિવાલયના લોકાર્પણથી તાલાળી ગામના વિકાસને વધુ વેગ મળવાની સાથે ગ્રામજનોને સ્થાનિક સ્તરે સરકારી સેવાઓનો લાભ મેળવવામાં વધુ સરળતા રહેશે.
કુંકાવાવ તાલુકાના પ્રવાસ દરમિયાન નીડા મુકામે શ્રી અનીડા સુર્ય જૂથ વિવિધ કાર્યકારી મંડળી લી.ની ૭૭મી વાર્ષિક સાધારણ સભા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદશ્રી ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંડળીના પ્રમુખશ્રી અને સભાસદોને મંત્રીશ્રીએ ઉત્તમ સહકારી પ્રવૃત્તિ કરવા બદલ બિરદાવ્યા હતા.















Recent Comments