અમરેલી શહેરના સર્વાંગી વિકાસને નવી દિશા આપતા રૂ. ૨૫ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગ, ડ્રેનેજ અને લાઇટિંગ જેવી માળખાગત સુવિધાઓના વિકાસ માટેના કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના (યુપીડી-૮૮) વર્ષ ૨૦૨૫-૨૬ (ઓજી એરિયા) અંતર્ગત અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ. ૨૦ કરોડથી વધુના ખર્ચે કોંક્રિટ રોડ, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રીટલાઇટના કામો હાથ ધરવામાં આવશે. આ વિકાસકાર્યોથી શહેરની પાયાની સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે તેમજ નાગરિકોને ગુણવત્તાયુક્ત શહેરી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના (ગૌરવ પથ) વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત રૂ. ૪.૭૨ કરોડના ખર્ચે અમરેલી શહેરના ત્રણ મુખ્ય માર્ગોને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે. જેમાં સિવિલ હોસ્પિટલ રોડ, સેન્ટર પોઇન્ટથી બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર તરફનો માર્ગ તેમજ ભીડભંજનથી બાયપાસ સુધીના માર્ગનો સમાવેશ થાય છે.
આ માર્ગો પર સરદાર કાંકરીની ફૂટપાથ, સુશોભન ગાર્ડન, આધુનિક લાઇટિંગ પોલ, એલ.ઈ.ડી. લાઇટ્સ, ટ્રી ગાર્ડ, ડિસ્પ્લે સાઇન બોર્ડ, રોડ પેઇન્ટિંગ, માર્ગદર્શક સાઇન બોર્ડ, કોન્વેક્સ ગ્લાસ તેમજ હાઇમાસ્ટ ટાવર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેના પરિણામે શહેરનું સૌંદર્ય અને ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે.
આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, નાગરિકોને આપવામાં આવેલા વિકાસના વચનોને સાકાર કરવાની દિશામાં આજે મહત્વપૂર્ણ શરૂઆત થઈ છે. રાજ્ય સરકાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ અમરેલી શહેરને વિકાસ માટે ઉદાર હાથે નાણાકીય મંજૂરીઓ પ્રાપ્ત થઈ રહી છે. નવી ટીમ અમરેલી શહેરને આધુનિક, સુવિધાસભર, હરિયાળું અને સ્માર્ટ શહેર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
આ પ્રસંગે અમરેલી માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન તથા “આધુનિક અમરેલી”ના સ્વપ્નદ્રષ્ટા તરીકે જાણીતા શ્રી પી.પી. સોજિત્રાએ પ્રારંભિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી અમરેલીના વિઝનને સાકાર કરવા માટે રાજ્ય સરકાર અને રાજ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે શહેરના સુઆયોજિત અને દીર્ઘકાલીન વિકાસ માટે સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
નગરપાલિકાની નવી ટીમની રચના બાદ પ્રમુખશ્રી વૈશાલીબહેન માંગરોળીયા, ઉપપ્રમુખશ્રી વિરલભાઈ પોપટ તથા કારોબારી સમિતિના ચેરમેનશ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય સહિતના હોદ્દેદારોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા ચોકડી તથા સિવિલ હોસ્પિટલ નજીક પ્રતિકાત્મક ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યશ્રીઓ, અગ્રણીશ્રી અતુલભાઈ કાનાણી, શ્રી વિજયભાઈ ચોટલીયા, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી રાઠોડ, શહેરના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દિવ્યેશ વેકરીયાએ કર્યુ હતું.


















Recent Comments