ભારત સરકાર દ્વારા માર્ગ અકસ્માતોના ઘટાડા તથા માર્ગ સલામતી અંગે વિવિધ કામગીરી અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેના અનુસંધાને નેશનલ રોડ સેફ્ટી માસ-વીકની ઉજવણી અંતર્ગત અમરેલી જિલ્લાના બાબરા ખાતે એ.આર.ટી.ઓ. અમરેલી દ્વારા જિલ્લા ટ્રાફીક પોલીસ, સિવિલ સર્જનશ્રીની ટીમ અને મનહર ઓટોમોબાઈલ્સના સંયુક્ત ઉપક્રમે ડ્રાઈવરો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાબરા ખાતે યોજાયેલા આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં કુલ ૧૫૨ જેટલા ડ્રાઈવરોની બી.પી., ડાયાબિટીસ તથા આંખોની તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં આર.ટી.ઓ. અમરેલી, જિલ્લા ટ્રાફિક પોલીસના પી.એસ.આઈશ્રી તથા સી.ડી.એમ.ઓશ્રી. સિવિલ સર્જનશ્રીની ટીમ તેમજ મનહર ઓટોમોબાઈલ્સના સંયુક્ત ઉપક્રમે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
એ. આર.ટી.ઓ. અમરેલીના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, ડ્રાઈવરો માટે સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી છે. કેમ્પ દરમિયાન ડ્રાઈવરોને આરોગ્ય સંબંધિત તપાસ કરાવી પોતાની તંદુરસ્તી અંગે જાગૃત રહેવા અપીલ કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં કોઈ બીમારીની જાણકારી મળે તો સમયસર સારવારના પગલાં લઈ શકાય અને માર્ગ અકસ્માતની શક્યતા ઘટાડી શકાય તે માટે આવા હેલ્થ ચેકઅપ કેમ્પ મહત્વપૂર્ણ છે.
કેમ્પ દરમિયાન માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ સંદેશાઓ ધરાવતા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. જેમાં “સીટબેલ્ટ બનશે જીવન રક્ષક, સીટબેલ્ટ બાંધો જીવન સાથે જોડાયેલા રહો”, “એક હાથમાં સ્ટીયરિંગ, બીજા હાથમાં ફોન, યમરાજ પણ પાછળ પૂછશે, હવે બચાવશે કોણ?”, “ઓવરસ્પીડની શોખ પરિવારનો શોક”, “સુરક્ષિત સફર, ખુશહાલ પરિવાર હેલ્મેટ પહેરો, બનો જવાબદાર” જેવા માર્ગ સલામતી સંદેશાઓ દ્વારા વાહનચાલકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કેમ્પ દરમિયાન PM-RAHAT યોજના તથા રાહવીર યોજના અંગે પણ માહિતી આપવામાં આવી હતી. PM-RAHAT યોજના હેઠળ માર્ગ અકસ્માતમાં સંડોવાયેલા કોઈપણ નાગરિકને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો રૂ. ૧.૫ લાખ સુધીની મફત કેશલેસ સારવાર કોઈપણ હોસ્પિટલમાં મળી શકે છે તેવી માહિતી આપવામાં આવી હતી.
રાહવીર યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં સંડોવાયેલા વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડવા માટે કોઈ વ્યક્તિ દ્વારા મદદ કરવામાં આવે અને ૧૦૮ને કોલ કરવામાં આવે, તો મદદ કરનાર વ્યક્તિને જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે રૂ. ૨૫,૦૦૦ સુધીનું પુરસ્કાર આપવામાં આવે છે તેવી જાણકારી પણ આપવામાં આવી હતી.
માર્ગ સલામતી અંગેના આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા વાહનચાલકોમાં ટ્રાફિક નિયમોના પાલન, સલામત ડ્રાઈવિંગ અને અકસ્માત નિવારણ અંગે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.,તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.


















Recent Comments