અમરેલીના ખાંભા તાલુકાના ચતુરી ગામે વન્યપ્રાણીના આકસ્મિક હુમલામાં માસૂમ બાળકના કરુણ અવસાનની અત્યંત દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમગ્ન બનાવી દીધો છે. સાંજના સમયે પોતાના દાદા સાથે હાથ પકડીને ગામની દૂધ ડેરી તરફ જઈ રહેલા માસૂમ બાળક પર અચાનક વન્યપ્રાણીએ હુમલો કરતાં તેનું દુઃખદ અવસાન થયું હતું. આ કરુણ ઘટના બનતા સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે.
આજરોજ આ દુઃખદ ઘટનાને પગલે વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઠવાડીયાએ ચતુરી મુકામે પહોંચીને પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને તેમના દુઃખમાં સહભાગી બન્યા હતા. મંત્રીશ્રીએ પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરી હતી.
સંવેદનાસભર સ્વરે વનમંત્રીશ્રી અર્જુનભાઈ મોઠવાડીયાએ જણાવ્યું હતું કે, અમારા વન વિભાગ સહિત સમગ્ર રાજ્ય સરકાર આ અસહ્ય દુઃખની ઘડીમાં પીડિત પરિવારની સાથે અડગપણે ઉભી છે. તેમણે બાળકના અકાળે અવસાન અંગે ગહન શોક વ્યક્ત કરીને મૌન શોકઅંજલિ અર્પણ કરી હતી.
વનમંત્રીશ્રીની મુલાકાત દરમિયાન ચતુરી ગામના ગ્રામજનોએ સામૂહિત રીતે વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓની લેખિત રજૂઆત કરી હતી. આ બાબતે મંત્રીશ્રીએ વિવિધ પ્રશ્નો સાંભળીને તે મુદ્દે સરકાર લાંબા અને ટૂંકા ગાળાના પગલાઓ ભરીને પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધતા સાથે આગળ વધશે તેમ જણાવ્યું હતું.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં આવા કિસ્સાઓ ધ્યાને આવતા સરકાર સિંહોના બદલાયેલ વર્તન અને વ્યવહાર અંગે વૈજ્ઞાનિક ઢબે નિષ્ણાતો મારફતે ગહન અભ્યાસ કરાવશે.
વનમંત્રીશ્રીની ચતુરી મુકામે પીડિત પરિવારની મુલાકાત વેળાએ ધારી-ખાંભા વિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા, રાજુલાના પૂર્વ ધારાસભ્યશ્રી અંબરીષભાઈ ડેર, તાલુકા પંચાયત અગ્રણીઓ અને આગેવાનો, સ્થાનિક આગેવાનો, સરપંચશ્રી અને સભ્યશ્રીઓ, રાજ્યના મુખ્ય વન સંરક્ષક (પી.સી.સી.એફ) શ્રી ડો. જયપાલ સિંહ, જૂનાગઢના સી.એફ શ્રી ડો. રામ રતન નાલા, ધારી ગીર પૂર્વ ડી.સી.એફ વિકાસ યાદવ, ધારી પ્રાંત અધિકારીશ્રી અર્પણ ચાવડા, પોલીસ અધિકારીશ્રીઓ, વન વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments