અમરેલી પાલિકાએ બાકી વેરો વસુલ કરવા મિલ્કત જપ્તિની કાર્યવાહી શરૂ કરી

અમરેલી શહેરમાં વિકાસને વેગવંતો બનાવવા તેમજ કરવેરા વસુલાત લક્ષ્યાંક પુરો કરવા પાલિકા દ્વારા ડોર-ટુ – ડોર બાકી વેરા વસુલવા ટીમો બનાવવામાં આવેલ હતી. સાત કરોડ બાકી મિલ્કત વેરો વસુલવા નળ જોડાણ કાપવા, મિલ્કત જપ્તી તેમજ સીલ કરવાની કાર્યવાહીહાથ ધરવામાં આવેલ છે. જેમાં આજે એક દુકાન સીલ કરવામાં આવેલ હતી. તેમજ સ્થળ ઉપર રૂા.1.રપ લાખની વસુલાત કરવામાં આવેલ હતી.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના વિકાસ તેમજ વીજ બીલ, રોજીંદા અન્ય ખર્ચ માટે અમરેલી નગરપાલિકાનો આધાર એક માત્ર કરવેરા વસુલાત છે. શહેરના બાકી મિલ્કત વેરા ધારકોને પાલિકા દ્વારા માંગણા બિલ, નોટીસો આપવા છતાં પણ બાકી વેરો ભરવાની દરકાર કરવામાં આવતી નથી. આવા બાકીદારો પાસેથી રકમ વસુલવા પાલિકા દ્વારા અલગ -અલગ ટીમો બનાવવામાં આવેલ છે. આ ટીમો ડોર-ટુ – ડોર વસુલાતની કામગીરી કરશે. તેમ છતાં પણ બાકી વેરો નહી ભરનારનાં નળ જોડાણ કાપી નાખવામાં આવશે. તેમજ મિલ્કત જપ્તી, મિલ્કત સીલ કરવા સહિતની કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વેરા અધિકારી ભરત દુધરેજીયા, એ.વી.મસે, દિલીપ વઘાસીયા, સહિતના કર્મચારીઓ દ્વારા આજે શહેરમાં બાકીદારો ઉપર તવાઈ ઉતરવામાં આવેલ હતી. બાકીદરો પાસેથી સ્થળ ઉપર રૂા.1.રપ લાખની રકમ વસુલવામાં આવેલ હતી. તેમજ આકાર કોમ્પલેક્ષમાં રૂા. 60 હજારનો વેરો નહિ ભરનાર વરૂણ કોમ્પ્યુટર નામની દુકાન સીલ કરવામાં આવેલ હતી. આગામી દિવસોમાં બાકીદારોની મિલ્કત સામે ઢોલ-નગરા વગાડી રકમ વસુલવામાં આવશે. શહેરનાં વિકાસને વેગવંતો રાખવા કરવેરા જ મુખ્યઆર્થિક સ્ત્રોત હોવાથી પાલિકા દ્વારા કોઈપણની શેહ – શરમ રાખ્યા વગર વેરા વસુલાતની કામગીરી હાથ ધરાશે. રૂા. તેર કરોડની ડિમાન્ડ સામે ફકત રૂા. પ.80 કરોડની જ વસુલાત આવેલ છે. ત્યારે પાલિકા દ્વારા બાકીદારો સામે તવાઈ લાદવામાં આવશે.
Recent Comments