કોરોના સામેની લડાઈમાં વેપારીઓ અને સેવાકીય સંસ્થાઓનાં કર્મચારીઓને કોરોના વેક્સિનથી સુરક્ષિત કરવાના રાજ્ય સરકારના ખાસ આયોજનના ભાગરૂપે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શહેરનાં મોટા બજારો સહિતના ૪૮ સ્થળોએ વેપારીઓ તેમજ શાકભાજી, ફેરિયાઓ ઉપરાંતના હોકર્સ માટે ખાસ કોરોના વેક્સિનનો કેમ્પ યોજવામાં આવશે.
કોરોના સામેની લડાઈમાં રક્ષિત થવા માટે વેક્સિન જ અમોધ શસ્ત્ર પુરવાર થયું છે. રાજ્યમાં નાના મોટા વેપારી વર્ગો સેવાકીય સંસ્થાના કર્મચારીઓને આ રસીકરણ છત્રમાં આવરી લઈ આરોગ્ય સુરક્ષા કવચ આપવા આગામી તા.૨૫ જુલાઈને રવિવારના રોજ રાજ્યભરમાં ૧૮૦૦ જેટલા કેન્દ્રો પર ખાસ વેક્સિનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં વેપારી-હોટલ-સેવાકિય ક્ષેત્રના કર્મચારીઓને ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર તા.૩૧ જુલાઈ સુધીમાં વેક્સિન લઇ લેવાની જરૂરીયાતને ધ્યાને લઇને વેપારી વર્ગ અને સેવાકિય વર્ગના કર્મચારીઓને તા.૩૧મી જુલાઈ સુધીમાં રસીકરણ થઇ જાય તે હેતુસર સરકાર દ્વારા ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવાનું નક્કી કરાયું છે. જે અન્વયે ગાંધીનગર કોર્પોરેશન તંત્ર દ્વારા પણ શહેરનાં આઠ સ્થળોએ વેક્સિનેશન કેમ્પ રવિવારના રોજ યોજવામાં આવનાર છે. જ્યારે ગ્રામ્યમાં ૪૦ સેન્ટરો પરથી વેક્સિન કેમ્પ હાથ ધરવામાં આવશે.
ગાંધીનગર જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી પર નજર નાખીએ તો ગ્રામ્ય કરતા શહેરી વિસ્તારમાં ૮૫ ટકા લાભાર્થીઓનું વેક્સિનેશન પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે ગ્રામ્યમાં ૫૪ ટકાની આસપાસ કોરોના વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી છે.
આ અંગે કોર્પોરેશન આરોગ્ય અધિકારી ડૉ. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન વિસ્તારના વેપારીઓ, સંસ્થાઓના કર્મચારીઓ તેમજ હોકર્સ શહેરના ૮ જેટલા સ્થળોએ ખાસ વેક્સિનેશન કેમ્પ ઉભા કરવામાં આવશે. જેમાં શહેરના મોટા બજારો જેવાં કે સેકટર ૨૧, સેકટર-૭, સેકટર-૨૪, સેકટર-૨૯ તેમજ સેકટર-૨ અને સેકટર ૮માં વેક્સિનેશન કેમ્પ કરવામાં આવશે. ઉપરાંત ન્યુ ગાંધીનગર વિસ્તારમાં પણ વેક્સિનેશન કેમ્પ કરવાની વિચારણા ચાલી રહી છે. જાેકે, કોર્પોરેશન વિસ્તારમાં મોટાભાગે નાના મોટા વેપારીઓ કોરોના વેક્સિનથી રક્ષિત થઈ ચૂક્યા છે.
જિલ્લા પંચાયત આરએચઓ ડો. હરેશ નાયકે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં ૪૦ સેન્ટરો પરથી વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. એ મુજબ રવિવારે પણ આ સેન્ટરો પરથી વેપારીઓ, શાકભાજી, ફ્રુટ, સહિતના નાના હોકર્સ માટે ખાસ કેમ્પ રાખવામાં આવ્યો છે. આ લાભાર્થીઓને સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરીને વેક્સિન આપવામાં આવશે. આ માટે લાભાર્થી એ કોરોના ગાઈડલાઈનના નિયમોનું અચૂકથી પાલન કરવાનું રહેશે. રવિવાર યોજાનારા આ વેક્સીનેશન કેમ્પનો મહત્તમ લાભ નાના મોટા વેપારી વર્ગો, સેવાકીય વર્ગના કર્મચારીઓ લે તેવો અનુરોધ છે.
Recent Comments