ગુજરાત

દાહોદ – ગરબાડા હાઈવે પર ઈકો અને સ્વીફટ અથડાતાં ૨ના મોત નીપજ્યા

દાહોદ જિલ્લામાં અકસ્માતોની વણઝાર સર્જાય છે ત્યારે સળંગ ત્રણ દિવસમાં આ ત્રીજાે અકસ્માત છે. જેમાં પ્રથમ દિવસે એસ.ટી બસ ખાડામાં ખાબકતાં ૩૫ લોકોને ઇજા થઇ હતી. ત્યાર બાદ દાહોદ ગોધરા હાઇવે પર પંચેલા પાસે ચાલતાં જતા પોલીસ કર્મીને કોઇ વાહને અડફેટે લેતાં તેમનું મોત થયુ હતુ. ત્યાર બાદ સતત ત્રીજા દિવસે આ અકસ્માત સર્જાયો છે. જેથી જિલ્લામાં વાહનોના નિયમો માટે જન જાગૃત્તિ અત્યંત આવશ્યક બની છે.દાહોદ જિલ્લામાં રોજે રોજ નાના મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત દાહોદ ગરબાડા હાઇવે પર થયો છે. જેમાં બે વ્યકિતના મોત નીપજ્યા છે જ્યારે ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ ગરબાડા હાઇવે પર ખરજ ગામની નજીક એક ઇકો કાર અને સ્વીફ્ટ ડિઝાયર કાર સામ સામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે જ્યારે મહિલા સહિત ચારને ઇજા થઇ છે. ઇકો કારનો ચાલક પણ ઇજાગ્રસ્ત છે ત્યારે મૃતકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. ઘટના સ્થળે સ્થાનિકોના ટોળા ધસી આવ્યા હતા તેમજ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં બંન્ને વાહનોને પણ મસ મોટું નુક્સાન થયુ છે. દરેક વાહનમાં મુસાફરો બેસાડવાની મર્યાદા નક્કી કરેલી હોવા છતાં ઘણી વાર તેના કરતાં પણ વધારે લોકોને બેસાડી દેવામાં આવે છે. પરિણામે જ્યારે અકસ્માત થાય છે ત્યારે વધારે લોકોની જાનહાનિ થાય છે ત્યારે પ્રાથમિક માહિતી પ્રમાણે સ્વીફ્ટમાં ૭ લોકો મુસાફરી કરી રહ્યા હતા. આમ વધારે મુસાફરો બેસાડવા નિયમ વિરુદ્ધ હોવા છતાં કાયદાનો ભંગ કરવામાં આવે છે. આ નિયમનો ખાનગી વાહન ચાલકો છડેચોક ભંગ કરે છે તેમ છતાં પોલીસ રહેમ નજર રાખી રહી છે.

Related Posts