યુનાઈટેડ નેશન દ્વારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે એસ પી યુનિ. દ્વારા વિશ્વની પ્રથમ મિલેટ્સ કેન્ટીન શરૂ કરાશે. તેમજ ૧૩ અને ૧૪ ફેબ્રુઆરી દરમિયાન શાસ્ત્રી મેદાન ખાતે સવારે ૧૦ કલાકથી રાત્રે ૧૦ કલાક દરમિયાન યોજાશે. જેમાં અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ, અનુસ્નાતક બાયોસાયન્સ વિભાગ, અનુસ્નાતક બિઝનેસ સ્ટડી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજાે સહિત ૪૬ સ્ટોલ હશે. સરદાર પટેલ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ નિરંજન પટેલ દ્વારા જણાવાયું હતું કે, યુનિવર્સિટી દ્વારા ભાઈકાકા લાઇબ્રેરી પાસે એક મિલેટ્સ કેન્ટીન બનાવવામાં આવશે, જેથી શાસ્ત્રી મેદાન ખાતે વોકિંગ માટે આવનાર લોકોને પૌષ્ટિક આહાર મળી શકે.
ભારતમાં અને વિશ્વમાં પહેલી એવી કેન્ટીન બનશે જ્યાં ફક્ત મિલેટ્સની વાનગીઓ મળશે. મિલેટ એટલે કે જાડા ધાન્યો એ બીજ સ્વરૂપનાં ધાન્ય છે. જે વર્ષોથી ભારતીય લોકોના પરંપરાગત આહારનો એક મુખ્ય ભાગ છે. પરંતુ આધુનિક જીવનશૈલી તથા યુવાનોમાં વધી રહેલા ફાસ્ટફૂડનો ક્રેઝ અને અન્ય કારણોના લીધે મિલેટનો ઉપયોગ દિન-પ્રતિદિન ઓછો થતો ગયો છે. ભારતમાં વિવિધ પ્રદેશમાં અનેક પ્રકારના મિલેટ જેવા કે બાજરો, જુવાર અને બાવટો (રાગી) લોકોના આહારમાં સમાવિષ્ટ છે. મિલેટમાં રહેલા પ્રોટીન, રેસા, ખનીજ તત્ત્વો હોવાથી તે પૌષ્ટિક છે. ફૂડ ફેસ્ટિવલમાં મિલેટસમાંથી બનાવેલી વિવિધ વાનગીઓ અને હસ્તકલાની વસ્તુઓના આશરે ૪૬ જેટલા સ્ટોલ રખાશે. જેમાં અનુસ્નાતક વિભાગના વિદ્યાર્થીઓ મિલેટ્સ વિષે વિસ્તૃત સમજણ આપશે.
Recent Comments