ગુજરાત

વડોદરામાં સેલ્ફી લેવા જતાં નર્મદા કેનાલમાં ડૂબેલા વિદ્યાર્થીનો મૃતદેહ ત્રણ કિલોમીટર દૂરથી મળ્યો

વડોદરા શહેરના છાણી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં રવિવાર સાંજે ડૂબેલા વિદ્યાર્થીનો મૃતદેહ ત્રણ કિલોમીટર દૂરથી મળી આવ્યો છે. જેના પગલે તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, બે મિત્રો સેલ્ફી લેવા જતાં કેનાલમાં પડ્યા હતા. જેમાં એકને બચાવી લેવાયો જ્યારે બીજાનું મોત નિપજ્યું છે. વડોદરા શહેરના નિઝામપુરા સર્વોદય સોસાયટીમાં રહેતો ધોરણ ૧૧ નો વિદ્યાર્થી પ્રભદેવ સિંગ અને ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતો ધોરણ ૧૨નો વિદ્યાર્થી દેવ મોરે સાથે રવિવારે સાંજે છ વાગે સાયકલ ચલાવવા છાણી નર્મદા કેનાલ પર ગયા હતા.

ત્યાં કેનાલની પાળી ઉપર સાઇકલ મૂકી સેલ્ફી લઈ રહ્યા હતા. દરમિયાન ત્યાંથી પસાર થતી ફોરવ્હિલરના જર્કને પગલે સાયકલ કેનાલમાં પડી હતી. પ્રભદેવની સાઇકલ હોવાથી તે સાયકલ કાઢવા માટે પાણીમાં ઊતર્યો હતો. દરમિયાન તે ડૂબવા લાગતા દેવ મોરે તેને બચાવવા પાણીમાં ઉતર્યો હતો. જ્યાં બંને પાણીમાં તણાવા લાગ્યા હતા. બંને કિશોરોને ડૂબતા જાેઇ નજીકમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને પ્રભદેવ સિંગને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. જ્યારે દેવ મોરે કેનાલના ધસમસતા પાણીમાં તણાઇ ગયો હતો. સમગ્ર ઘટનાની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા રાત્રે ફ્લડ લાઇટના સહારે દેવ મોરેને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.

જાે કે બીજા દિવસે પણ તેનો મૃતદેહ હાથ લાગ્યો ન હતો. ત્યારે આજે ફાયરબ્રિગેડને પંચવટી હનુમાનજી મંદિરની પાછળ મધુનગર પાસે કેનાલમાં એક લાશ તરતી હોવાનો મેસેજ મળ્યો હતો. જ્યાં ફાયરબ્રિગેડના લાશ્કરો દોડી ગયા હતા અને મૃતદેહને બહાર કાઢ્યો હતો. જેને દેવ મોરેના પરિવારે ઓળખી બતાવ્યો હતો. દેવ મોરે ડૂબ્યો હતો ત્યાંથી તેનો મૃતદેહ ત્રણ કિલોમીટર દૂર મળી આવ્યો છે. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો છે. જ્યારે બીજી તરફ આ બનાવમાં રેસ્ક્યૂ કરાયેલ પ્રભદેવ સિંગે ફતેગંજ પોલીસ સમક્ષ નિવેદનમાં જણાવ્યું છે કે સેલ્ફી લેવા જતાં કાર પસાર થઇ અને તેના જર્કથી સાઇકલ કેનાલમાં પડતા તેને બહાર કાઢવા જતાં કરૂણાંતિકા સર્જાઇ હતી.

Related Posts