અમરેલી

લોકહિતની જીત: સાવરકુંડલામાં અડચણરૂપ કેબલનો પ્રશ્ન ઉકેલાયો

હતું જે વિઘ્ન રસ્તામાં,                             સમયસર એ હવે હટ્યું,

સૌના સાથ-સહકારે, 

આ સુંદર કાર્ય પાર પડ્યું.

​જાગૃતિ જો હોય હૈયામાં, 

તો ઉકેલ ચોક્કસ મળે,

લોકસેવાના આ યજ્ઞમાં, 

આખું નગર પણ ભળે.

–“પાંધી સર”

સાવરકુંડલા શહેરમાં આવેલ ફ્રેન્ડ સોસાયટી ખાતે જાહેર રસ્તા પર લાંબા સમયથી અડચણરૂપ બની રહેલા બી.એસ.એન.એલ. (BSNL) ના કેબલનો ગંભીર પ્રશ્ન અંતે ઉકેલાયો છે. સ્થાનિક નાગરિક રઘુવંશી અગ્રણી મુકુંદભાઈ નાગ્રેચા દ્વારા કરવામાં આવેલી સતત રજૂઆતો અને મીડિયાના સહયોગથી તંત્ર હરકતમાં આવ્યું હતું.

​આ કેબલ રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમી અને અવરોધક બની રહ્યો હતો. આ બાબતે અખબારી અહેવાલ પ્રસિધ્ધ થતાં આ સમસ્યાને વાચા આપવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપ ભાજપના આગેવાને BSNL ના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરી તાત્કાલિક કેબલ દૂર કરવા સૂચના આપી હતી.

આ સંદર્ભે ​પરમ દિવસે સંલગ્ન વિભાગના કર્મચારી સોલંકીભાઈ અને મેકેનિકની ટીમ દ્વારા સ્થળ પર આવીને આ જોખમી કેબલ કાપીને દૂર કરવામાં આવ્યો હતો. મુકુંદભાઈએ જણાવ્યું હતું કે, “આ કામગીરીથી રાહદારીઓને મોટી રાહત મળી છે, હવે માત્ર નગરપાલિકા દ્વારા રસ્તા પર પડેલો કચરો અને માટીના ઢગલા દૂર કરવામાં આવે તો આ વિસ્તાર સંપૂર્ણપણે સ્વચ્છ અને સુરક્ષિત બની જશે.” તેમણે આ કામગીરીમાં સહયોગ આપનાર તમામ આગેવાનો અને પત્રકાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts