અમરેલી

વિજ્ઞાન, સાહિત્ય અને સંતવાણીનો અનોખો ત્રિવેણી સંગમ: સાવરકુંડલાની કબીર ટેકરી ખાતે વૈજ્ઞાનિક મોડેલો દ્વારા “માનવતાની મહેક” પુસ્તકનું ઐતિહાસિક વિમોચન

​સાહિત્ય, વિજ્ઞાન અને અધ્યાત્મનો અદભુત સંગમ રચતો એક અવિસ્મરણીય કાર્યક્રમ તાજેતરમાં સાવરકુંડલા સ્થિત કબીર ટેકરી ખાતે યોજાઈ ગયો. આ પ્રસંગે મોટા ચારોડીયાના ‘યશ ત્રિવેદી – વિજ્ઞાન ભવન’ દ્વારા નિર્મિત ચાર અત્યાધુનિક વૈજ્ઞાનિક વર્કિંગ મોડેલોની મદદથી “માનવતાની મહેક – કબીર ટેકરી” પુસ્તકનું અત્યંત ભવ્ય અને આશ્ચર્યજનક રીતે વિમોચન કરવામાં આવ્યું હતું.

*​આ વિજ્ઞાન ભવનના સ્થાપક શ્રી નાનાભાઈ ત્રિવેદી (દાદા)ના માર્ગદર્શન અને આશીર્વાદથી તેમના પૌત્ર યશ ત્રિવેદીએ વિજ્ઞાનના વારસાને જાળવી રાખીને આ ચારેય વિશેષ મોડેલોનું સંપૂર્ણપણે જાતે નિર્માણ કર્યું હતું.* આ વિમોચન વિજ્ઞાન અને શ્રદ્ધાના સમન્વયનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું હતું.

​આકર્ષણનું કેન્દ્ર બનેલા ૪ વૈજ્ઞાનિક મોડેલો:

​૧. પાણીથી દીપ પ્રાગટ્ય મોડેલ: કબીર સાહેબની છબી સામે રાખેલા દીવામાં ખાસ રાસાયણિક તત્વ મૂકાયું હતું. મહેમાન દ્વારા દૂરથી જળનો અર્ઘ અર્પણ કરતા જ રાસાયણિક પ્રક્રિયાથી દીવાસળી વગર દીવો પ્રજ્વલિત થયો હતો.

૨. ફરતી વર્કિંગ દીપમાળા મોડેલ: પુસ્તકના ૨૨ લેખકોના પ્રતીકરૂપે ૨૨ દીવાઓ ધરાવતી બે દીપમાળાઓ પર મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયા બાદ મુખ્ય દીવો સ્થાપિત થતાં જ ઇલેક્ટ્રોનિક સેન્સર અને મોટર સિસ્ટમ દ્વારા દીપમાળાઓ ગોળ-ગોળ ફરવા લાગી હતી, જે સતત ફેલાતા જ્ઞાનનું પ્રતીક બની હતી.

૩. દૂરથી પુષ્પવર્ષા મોડેલ: દૂરથી કબીર સાહેબની છબી પર પુષ્પ વર્ષા કરતાં જ ખાસ સિસ્ટમ વડે મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો પર એકસાથે પુષ્પવર્ષા થઈ હતી.

૪. ૨૦ ફૂટ દૂરથી રીબીન કટિંગ મોડેલ: ૨૦ ફૂટ દૂર ઊભા રહીને ખાસ સિસ્ટમથી રીબીન કાપતાં જ “માનવતાની મહેક – કબીર ટેકરી” પુસ્તકનું આપોઆપ ઐતિહાસિક વિમોચન થયું હતું.

*​આ સર્જનાત્મક આયોજન બદલ કબીર ટેકરી, સાવરકુંડલાના પરમ પૂજ્ય મહંત શ્રી નારણદાસ સાહેબના પવિત્ર હસ્તે યશ ત્રિવેદી (વિજ્ઞાન ભવન, મોટા ચારોડીયા)નું વિશેષ સન્માન કરી આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા*.

કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક પ્રસ્તુતિ અંતર્ગત *કાવ્યા યોગેશભાઈ દવે દ્વારા રજૂ કરવામાં આવેલા મનોહર કથ્થક નૃત્યે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા, જે બદલ તેમનું પણ મંચ પરથી વિશેષ સન્માન કરાયું હતું.*

​આ ભવ્ય પ્રસંગે અનેક લેખકો, સાહિત્યકારો, અગ્રણીઓ, સાધુ-સંતો અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. *જેમાં વાસુદેવ સોઢા, ગોરધનભાઈ ભેસાણીયા, અશોકભાઈ શેટે, સુધીરભાઈ મહેતા, રવજીભાઈ કાચા, ઉદયભાઈ દેસાઈ, વિજ્ઞાન ભવનના સ્થાપક નાનાભાઈ ત્રિવેદી, મનિષભાઈ વિંઝુડા, બીપીનભાઇ પાંધી, કનુભાઈ લિંબાસિયા, વૈધરાજ શ્રી ભાનસિંહ પ્રતાપભાઈ પઢીયાર, વિક્રમભાઇ પઢીયાર, ભાનુમતીબેન ત્રિવેદી, કૃપા ત્રિવેદી, હર્ષાબેન પાઠક, સરસ્વતી બેન દવે, જિજ્ઞાબેન ઠકરાર, ઉમેશ ચાવડા, દિપાલીબેન ડી. પંડ્યા, અરવિંદ સુરતી, ભાવિશાબેન જોષી, યશ ત્રિવેદી, સંગીતાબેન ઓઝા અને ધનજીભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.*

Related Posts