આ સુધારા વિધેયકમાં ૧૯૪૮ થી અત્યાર સુધી થયેલા તમામ ટુકડા ધારાના ભંગ કોઈપણ પ્રકારના દંડ વિના નિયમબદ્ધ -વિનિયમિત કરવામાં આવશે. આ વિધેયકમાં ઉમેરવામાં આવેલી નવી કલમ-૫(૪)નો ઉપયોગ કરી રાજ્ય સરકાર દ્વારા તમામ લોકલ એરીયામાં એક સમાન ક્ષેત્રફળ ૧૦ ગુંઠા (૧૦૧૨ ચો.મી) નક્કી કરેલ છે. આ સુધારાથી જમીન લે-વેચમાં સ્થાનિક ગૂંચવાડા દૂર થશે. શહેરી વિસ્તારો ટુકડા ધારાની અસરમાંથી સંપૂર્ણ મુક્ત થશે અને સમગ્ર રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ મળશે તેમ વિધાનસભા ગૃહમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો અને સામાન્ય નાગરિકોના હિતમાં મહેસૂલ વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા “ગુજરાત ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા બાબતનો (સુધારા) વિધેયક, ૨૦૨૬” ગુજરાત વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું તેને આજે વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે.
મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર “વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત અને Ease of doing business”ના સંકલ્પ સાથે આગળ વધી રહી છે.
આ વિધેયકથી રાજ્યના લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત મળશે. રાજ્ય સરકારે ઉદારતા દાખવીને નિર્ણય કર્યો છે કે, વર્ષ ૧૯૪૮થી નવા કાયદાના અમલ સુધીમાં, જે કિસ્સાઓમાં જમીનના નિયમ કરતા નાના ટુકડા પડ્યા હોય અથવા કાયદાનું ઉલ્લંઘન થયું હોય, તેવા તમામ જૂના ભંગને કોઈપણ પ્રકારનો દંડ વસૂલ્યા વગર નિયમબદ્ધ એટલે કે ‘રેગ્યુલાઈઝ’ કરવામાં આવશે.
વિધેયક લાવવા પાછળનો હેતુ સ્પષ્ટ કરતાં મંત્રીશ્રીએ કહ્યું કે અત્યાર સુધી જંત્રીના ૧૦ ટકા પેનલ્ટી ભર્યા પછી પણ વ્યવહાર કાયદેસર થતા ન હતા અને ‘ફોક’ ગણાતા હતા, પરંતુ હવે આ ક્રાંતિકારી સુધારાથી હજારો ‘બોનાફાઇડ’ ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થશે અને રેવન્યુ કોર્ટમાં ચાલતા વર્ષો જૂના કેસોનો કાયમી નિકાલ માટે આ સુધારો લવાયો છે.
રાજ્ય સરકાર દ્વારા આ પ્રજાલક્ષી નીતિના અમલ માટે તાત્કાલિક અસરથી વટહુકમ (Ordinance) લાવીને તેનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો અને હવે આ વિધેયક દ્વારા તેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
આ સુધારા વિધેયકને માત્ર કાયદાકીય સુધારા તરીકે નહીં, પરંતુ ગુજરાતના લાખો ખેડૂતો, મધ્યમ વર્ગ અને રોકાણકારો માટે ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ અને ‘ ઈઝ ઓફ લિવિંગ’ તરફના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવે છે. આનાથી વહીવટમાં પારદર્શિતા વધશે અને ભ્રષ્ટાચાર પર લગામ લાગશે.
આ સુધારાનો હેતુ અગાઉ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પિયત, બિનપિયત, બાગાયત અને જીરાયત જમીન માટે ટુકડાના માપદંડો અલગ-અલગ હોવાથી સામાન્ય ખેડૂત મૂંઝવણમાં રહેતો હતો. હવે આ જટિલતા દૂર કરી સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે લઘુત્તમ ક્ષેત્રફળ ૧૦ ગુંઠા નક્કી કરવામાં આવ્યું છે. ખેતીની ગુણવત્તા જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે નિર્ણય લેવાયો છે કે, હવેથી ૧૦ ગુંઠાથી ઓછો ટુકડો પાડી શકાશે નહીં, જે ખેતીની વાયબિલિટી વધારશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ વિધેયકની સાથેજ જાહેરનામા દ્વારા થયેલ અન્ય મહત્વના સુધારા મુજબ મહાનગર પાલિકા, નગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારોને આ ‘ટુકડા ધારા’માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં બિનખેતી (NA) ની પ્રક્રિયા, બાંધકામ અને જમીન લે-વેચના વ્યવહારો અત્યંત ઝડપી અને પારદર્શક બનશે, જેનાથી સર્વાંગી વિકાસને વેગ મળશે.
તેમણે કહ્યું કે,આ વિધેયકના સુધારાથી રાજ્યમાં અલગ સ્ટાન્ડર્ડ એરીયા હતા,જે હવે આ કાયદો અમલ આવ્યાથી રાજ્ય સરકાર, વખતોવખત,રાજપત્રમાં જાહેરનામાંથી, કોઇ સ્થાનિક વિસ્તારમાં જમીનના કોઇપણ વર્ગ માટે માનક વિસ્તાર (Standard Area) જાહેર કરી શકશે, જે તા. ૧૨/૦૮/૨૦૨૬ના જાહેરનામાથી સ્ટાન્ડર્ડ એરીયા ૧૦ ગુંઠા કરી છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વધુ વિગતો આપતાં કહ્યું હતું કે,
બીજા મહત્વના સુધારા મુજબ ટુકડા ધારાના મૂળ કાયદાના અમલ ૧૯૪૮થી લઇ તા. ૩૧/૦૩/૨૦૨૬ સુધી ટુકડાધારા ભંગના તમામ કેસ કોઇપણ જાતના દંડ કે પ્રિમિયમ વગર વિનિયમિત કરવામાં આવશે. આ વિધેયકની સાથે જ તા. ૧૨/૦૮/૨૦૨૬ના જાહેરનામાંથી કરેલ અન્ય એક સુધારા મુજબ, ગુજરાત રાજ્યના તમામ મ્યુનિસિપલ એરીયા, કોર્પોરેશન, અર્બન ઓથોરીટી એરીયા ડેવલપમેન્ટ ઓથોરીટીનો સમાવેશ સ્થાનિક વિસ્તારમાં થશે નહી, આમ શહેરી વિસ્તારને હવેથી ટુકડાધારો લાગુ પડશે નહી.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સરકારશ્રી દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય કમિટીના ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ આ ભલામણો સ્વીકારવામાં આવી છે. ડબલ એન્જિન સરકારના આ નિર્ણયથી જનતાના આશીર્વાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને મળશે.
આમ, રાજ્યના ખેડૂતો અને સામાન્ય નાગરિકોના હિતમાં આ જનહિતકારી ગુજરાત ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા બાબતનો (સુધારા) વિધેયક-૨૦૨૬” ને વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે.
















Recent Comments