સાવરકુંડલા તાલુકામાં ખેતીવાડી વીજ પુરવઠાની અનિયમિતતાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. થોરડી ફિડર હેઠળ આવતા ૬ થી ૭ ગામોના ખેડૂતોએ એકત્ર થઈ સાવરકુંડલા સ્થિત પી.જી.વી.સી.એલ (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ) ની કચેરીએ હલ્લાબોલ બોલાવી અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું અને વીજ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા માંગ કરી હતી.
ખેડૂતોના આક્ષેપ મુજબ, થોરડી ફિડરમાં વારંવાર થતા લોડ સેટિંગ અને ફોલ્ટના કારણે વીજ પુરવઠો સતત ખોરવાઈ જાય છે. હાલ પિયતનો મહત્વનો સમય ચાલી રહ્યો છે ત્યારે જ પૂરતો અને નિયમિત વીજ પુરવઠો ન મળતા પાક સુકાઈ જવાની અને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. આ ફિડર હેઠળ અંદાજે ૫૬૦ જેટલા ખેતીવાડી વીજ ગ્રાહકો આવે છે, જેઓ છેલ્લા કેટલાક સમયથી વીજ તંગીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
પી.જી.વી.સી.એલ કચેરી ખાતે પહોંચેલા ખેડૂતોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો આગામી બે દિવસની અંદર ખેતીવાડી માટે પૂરતો અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર તાલુકાના ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ખેડૂતોની આ આક્રમક રજૂઆત અને ચીમકી બાદ હવે પી.જી.વી.સી.એલ તંત્ર દ્વારા થોરડી ફિડરની ટેકનિકલ ખામીઓ દૂર કરી વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે શું પગલાં લેવામાં આવે છે તેના પર સમગ્ર પંથકના ખેડૂતોની નજર મંડાયેલી છે.












Recent Comments