રાજ્યમાં થઈ રહેલા વિકાસકાર્યોની શ્રૃંખલાના ભાગરુપે રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં બાબરા ખાતે તાલુકા પંચાયતના નવા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. રુ.૨૪૦ લાખના ખર્ચે તૈયાર થયેલા તાલુકા પંચાયત ભવનનું આગામી શનિવાર તા.૦૪ ફેબ્રુઆરીના રોજ નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને લોકાર્પણ થયુ હતુ. શ્રી વેકરીયાએ, લોકશાહીમાં પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું મહત્વ સમજાવ્યું હતું.
ભવન બાબરાના નાગરિકોની સુવિધામાં વધારો કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, ‘બાબરા તાલુકા પંચાયતના આ નવનિર્મિત ભવનથી અરજદારોની સુવિધામાં વધારો થશે તેમજ આ સ્થળ પર ફરજ બજાવતા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને પણ લાભ થશે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં તેજ ગતિથી વિકાસકાર્યો થયા છે અને નવાં ભવનોનું નિર્માણ કાર્ય પણ શરુ છે. ફક્ત વાયદા કે વાતો નહીં પરંતુ નક્કર પરિણામ એ રાજ્ય સરકારનો સંકલ્પ છે.
લોકોની સુખાકારી અને સુવિધા અને સરક્ષા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ ભવનનું ખાતમહૂર્ત થોડાં સમય પૂર્વે થયું હતું અને નવી સરકાર બનતાની સાથે જ તેનું લોકાર્પણ થયું હોવાનું શ્રી વેકરીયાએ જણાવ્યુ હતુ. આમ, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર જે કામનું ખાતમહૂર્ત કરે તેનું લોકાર્પણ પણ કરી રહી છે. સરાકારે આપેલા વચન મુજબ કેબિનેટની પ્રથમ બેઠકમાં જ આયુષ્માન ભારત યોજના અંતર્ગત રુ.૦૫ લાખની મર્યાદામાં વધારો કરી અને રુ.૧૦ લાખ કરવામાં આવી છે.
લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયાએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ અત્યાધુનિક ભવનનું નિર્માણ થકી બાબરા તાલુકાના નાગરિકોની સુવિધામાં વધારો થશે. નવનિર્મિત ભવનમાં પાંચાળ પ્રદેશના નાગરિકોના પ્રશ્નો ભૂતકાળ બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઈ બુટાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી વસ્તાણી, અગ્રણીશ્રી જલ્પેશભાઈ મોવલીયા, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મહાનુભાવો સહિતના ઉપસ્થિત રહ્યાહતા.
Recent Comments