અમરેલી, તા.૯ મે, ૨૦૨૫ (શુક્રવાર) ઓપરેશન સિંદૂરને પગલે સર્જાયેલી સ્થિતિમાં જિલ્લાના દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા સંદર્ભે નાગરિકોમાં જાગૃત્તિ આવે તે અર્થે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને કાર્યકારી કલેકટર શ્રી પરિમલ પંડ્યાએ આજે રાજુલા – જાફરાબાદ તાલુકાના દરિયાઇ તટીય વિવિધ વિસ્તારોમાં મુલાકાત લઈ વિવિધ કચેરી કામગીરીની વિગતો મેળવી હતી. આ સંદર્ભે તેમણે સંબંધિત કચેરીઓને જરુરી દિશા નિર્દેશો આપ્યા હતા.
અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને કાર્યકારી કલેકટર શ્રી પરિમલ પંડ્યાએ પીપાવાવ પોર્ટ મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાતમાં, સાવરકુંડલા મદદનીશ પોલીસ અધિકારી શ્રી વલય વૈદ્ય અને રાજુલા જાફરાબાદ પ્રાંત અધિકારી ડૉ. મેહુલ બરાસરા પણ જોડાયા હતા.
પીપાવાવ પોર્ટના ઉચ્ચ અધિકારીશ્રીઓએ,ઈનચાર્જ કલેક્ટર શ્રી પરિમલ પંડ્યા અને અન્ય અધિકારીશ્રીઓ સાથે પીપાવાવ પોર્ટ દ્વારા સુસજ્જતાના ભાગરુપે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી સહિતની વિગતો જણાવી હતી.
વધુમાં અધિકારીશ્રીઓએ પીપાવાવ કોસ્ટ ગાર્ડ સ્ટેશનની મુલાકાત લીધી અને રાજુલા – જાફરાબાદ તાલુકાના દરિયાઈ વિસ્તારની સુરક્ષા બાબતે કરવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા કરી ઘટતું હોય તે બાબતે બનતી ત્વરાએ કામગીરી પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.
Recent Comments